સુરત42 મિનિટ પહેલા
- કૉપી લિંક

સેનેટની ચૂંટણી લડવા માટે જીગ્નેશ પાર્ટી લે યુથ ફોર ગુજરાત માટેની કામગીરીની વ્યસ્તતાને આગળ ધરી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આવનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી અંગે આજે સોમવારે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ડોનર સીટ ઉપરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, નાટ્યાત્મક રીતે જિજ્ઞેશ પાટીલે ચૂંટણી લડવાની ના પાડી દેતા સોંપો પડી ગયો હતો.
જિજ્ઞેશ પાટીલનું નામ જાહેર થતાં રાજકારણ ગરમાયું
ABVP દ્વારા આજે ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી હતી. જિજ્ઞેશ પાટીલનું નામ ઉમેદવારોમાં આવતાની સાથે જ શહેરભરમાં ખૂબ ચર્ચા શરૂ થઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો પુત્ર જ્યારે ચૂંટણીમાં ઉતરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો, પરંતુ એકાએક જ બપોરે પત્રકાર પરિષદ બાદ વાત વહેતી થઈ હતી કે, જિજ્ઞેશ પાટીલ ચૂંટણી નહીં લડે. આ બાબતે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેલા સિન્ડિકેટ સભ્ય સાથે પણ ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, એ વાત ખોટી છે કે જિજ્ઞેશ પાટીલ ચૂંટણી નથી લડવાના, કારણ કે સંમતિ મળ્યા બાદ જ અમે આ નામની જાહેરાત કરી છે. જોકે પત્રકાર પરિષદના ત્રણથી ચાર કલાકમાં તેઓ ખોટા પૂરવાર થયા હતા.
યુથ ફોર ગુજરાતની પ્રવૃત્તિમાં વ્યસ્તતાને કારણે ચૂંટણી લડવાનો ઇનકાર
સિન્ડિકેટ સભ્ય ડો. મહેન્દ્ર ચૌહાણે મોડી સાંજે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ સેનેટની ચૂંટણી જાહેર કરી છે. જેમાં ડોનર મતદારોની મિટિંગમાં ડો. કશ્યપ ખરચિયા અને જિજ્ઞેશ પાટીલનું નક્કી કરાયું હતું અને તે નામની આજે જાહેરાત કરાઈ હતી. પણ જિજ્ઞેશ પાટીલની યુથ ફોર ગુજરાતની વિવિધ સેવાકીય અને સ્પોર્ટ્સની પ્રવૃત્તિ જોડે સંકળાયેલા છે. ઉપરાંત તેઓ આ ક્ષેત્રને ખૂબ જ આગળ વધવા ઇચ્છતા છે. જેથી તેવો યુનિવર્સિટી પર ધ્યાન આપી શકે તેમ ના હોવાથી તેમણે સેનેટની ચૂંટણી લડવાની ના પાડી હતી.
સેનેટના ઉમેદવાર તરીકે સંમતિ વગર કેમ નામ જાહેર કરાયું
જિજ્ઞેશ પાટીલે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇન્કાર કરી કરી દીધો છે. આ પાછળનું કયું કારણ હોઈ શકે છે, તેને લઈને પણ હવે અનેક ચર્ચા થઈ રહી છે. ભલે તેમણે સામાજિક પ્રવૃત્તિઓની વ્યસ્તતા તેમજ યુથ ફોર ગુજરાત માટેના કામ માટેની વાત કરી હોઈ શકે. પરંતુ બીજી પણ રાજકીય રીતે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જો જિજ્ઞેશ પાટીલની સેનેટની ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી, તો તેમણે સંમતિ કયા આધારે હતી અને જો તેમણે સંમતિ આપી ન હતી, તો આ નામની જાહેરાત શા માટે કરવામાં આવી તેને લઈને પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.