Monday, July 25, 2022

આરેમાં કારશેડને જોડતો મેટ્રો-થ્રીનો રેમ્પ તૈયાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આરેમાં મેટ્રો-થ્રી માટે કારશેડ બનાવવાના અવરોધ વચ્ચે રેમ્પ બનાવવાનું મહત્ત્વનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. છેલ્લાં દોઢેક વર્ષથી આરેના પ્રજાપુર પાડા ગામમાં રેમ્પ બનાવવાનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું.
નવેમ્બર ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ)ની સરકારનું ગઠન કરવામાં આવ્યું હોવા છતાં રેમ્પનું કામકાજ ચાલુ રાખવામાં આવ્યું હતું. હાલના તબક્કે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સમર્થનવાળી એકનાથ શિંદેની સરકારે આરેમાં કારશેડ બનાવવાની કામગીરીમાં સ્ટે ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી, પરંતુ હાલના તબક્કે તેનો પર્યાવરણવિદ્દો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અલબત્ત, રેમ્પ બનાવવાનું કામકાજ એક મહિના પૂર્વે પૂરું કરવામાં આવ્યું હતું, પરંતુ હાલના તબક્કે બીજી અન્ય કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ રેમ્પ મેટ્રો-થ્રીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુખ્ય ભાગ છે અને તે ભૂગર્ભ સિપ્ઝ મેટ્રો સ્ટેશનની બહાર નીકળતી મેટ્રો ટ્રેનોની જાળવણી માટે કારશેડમાં પ્રવેશવાની મંજૂરી આપશે. કેન્દ્ર સરકાર સાથે મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) સાથે પચાસ ટકા ભાગીદારી ધરાવનારા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)ના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મેટ્રો-થ્રી માટે જરૂરી રેમ્પનું કામકાજ પૂરું કરવામાં આવ્યું છે. આરેમાં રેમ્પ બનાવવાના કામકાજમાં ક્યારેય કોઈ સ્ટે મૂકવામાં આવ્યો નહોતો. ફક્ત ડેપોના ભાગને સંરક્ષિત કરવામાં આવ્યો હતો. હવે આરેમાં કામકાજ માટે સરકારે પોતાનો સ્પષ્ટ ઈરાદો વ્યક્ત કર્યો છે ત્યારે ઘણો સમય બચશે અને કારશેડમાં પ્રવેશવા માટે રેમ્પ માટે જરૂરી કામ ખૂબ જ ઝડપથી થઈ શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પર્યાવરણનું સંરક્ષણ: લોકલ ટ્રેનમાં મૂક પ્રદર્શન
આરેમાં કારશેડ બનાવવા મુદ્દે સરકારે સ્ટે ઉઠાવ્યા પછી ફરી એક વખત જાહેરમાં પર્યાવરણના સંરક્ષણ માટે પર્યાવરણવિદ્દોએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પર્યાવરણ પ્રેમીઓની સાથે પ્રાણીપ્રેમીઓની સાથે આરેના સ્થાનિક લોકોએ રવિવારે વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ગ્રુપના કાર્યકરોએ આરે બચાવો નામના બેનર બનાવીને વિવિધ સંગીતની ધૂનો તૈયાર કરીને આગવી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રવિવારે વિવિધ જગ્યાએ ‘આરે બચાવો’ આંદોલન ચાલુ કરવામાં આવ્યા પછી રાજ્યમાં મેટ્રો કારશેડ સામેનું આંદોલન વધુ તીવ્ર બનાવ્યું હતું, જેમાં મુંબઈ જ નહીં, પરંતુ નાગપુર, વારાણસી, હૈદરાબાદ સહિત અન્ય શહેરના પર્યાવરણપ્રેમીઓએ ભાગ લીધો હોવાનું એક કાર્યકરે જણાવ્યું હતું.


પોસ્ટ દૃશ્યો:
35

Related Posts: