
ભારતીય વાયુસેનામાં પ્રથમ વખત અગ્નિપથ યોજના દ્વારા ભરતી માટે પરીક્ષા રવિવારથી શરૂ થઈ ગઇ છે. આ પરીક્ષા 24 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન લેવાશે.
એરફોર્સમાં અગ્નિવીરની ભરતી માટે યુપીના અલગ-અલગ શહેરોમાં પરીક્ષા લેવામાં આવી છે. કાનપુરમાં અગ્નિવીર એરફોર્સની પરીક્ષા યોજવા માટે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ જવાનોની તૈનાતી સાથે એરફોર્સના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી અને ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.
અગ્નિવીર પરીક્ષા માટે કુલ 11 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાંથી છ કાનપુર આઉટરમાં છે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં લેવામાં આવી રહી છે.આજે કાનપુરમાં કુલ 31,875 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે અને દરેક શિફ્ટમાં 625 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
બિહારમાં રાજધાની પટનાના 13 કેન્દ્રો સહિત બિહારના 26 કેન્દ્રો પર અગ્નિવીરોની પ્રથમ પરીક્ષા શરૂ થઈ છે. અગ્નિવીર વાયુ માટેની ઓનલાઈન પરીક્ષા રવિવારે પટનાના 13 કેન્દ્રો સહિત રાજ્યના 26 કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. રાજ્યમાં કુલ 26 વિવિધ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે.આમાંના મોટાભાગના કેન્દ્રો રાજધાની પટનામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. પટનાના બેઉર, ખગૌલ, દાનાપુર, પાટલીપુત્ર, કાંકરબાગ જેવા વિસ્તારોમાં ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે.
આ પરીક્ષા પ્રથમ વખત લેવામાં આવી રહી છે, જેમાં અગ્નિપથ યોજના હેઠળ દેશમાંથી એરફોર્સની 3500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આ પરીક્ષામાં તમામ પ્રશ્નો 12મા ધોરણના છે. પ્રથમ સેટ વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત)નો છે જે 60 મિનિટનો હશે. બીજો અંગ્રેજીનો છે, જે 45 મિનિટનો હશે. તેવી જ રીતે ત્રીજા સેટમાં રિઝનિંગ અને જનરલ અવેરનેસ ટેસ્ટ 85 મિનિટની હશે.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે અગ્નિવીર યોજનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી પ્રહારો કર્યા હતા.તેમણે કહ્યું કે તેમનો આ પ્રયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને યુવાનોના ભવિષ્ય માટે ખતરનાક છે.રાહુલે કહ્યું કે અગ્નવીર યોજના યુવાનોના ભવિષ્ય સાથે કેવી રમત રમશે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હાલમાં દર વર્ષે 60 હજાર સૈનિકો નિવૃત્ત થાય છે પરંતુ ભાગ્યે જ ત્રણ હજાર ભૂતપૂર્વ સૈનિકોને સરકારી નોકરી મળે છે.