મહારાષ્ટ્ર ભાજપમાં એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવાયા તેના કારણે પ્રવર્તતો અસંતોષ બહાર આવી ગયો છે. ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પોતે શિંદેને મુખ્યમંત્રી બનાવવા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે રાયગઢ જિલ્લાના પનવેલમાં રાજ્ય કારોબારીની બેઠકમાં જાહેરમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારને સ્થિર રાખવા માટે દિલ પર પથ્થર મૂકીને શિંદેને મુખ્યમંત્રી બનાવવા પડ્યા છે. શિંદેને મુખ્યમંત્રી બનાવાયા તેનું પોતાને દુઃખ હોવાનો પણ પાટીલે સ્વીકાર કર્યો. પાટીલે કહ્યું કે, યોગ્ય મેસેજ આપવા અને સ્થિરતા લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય નેતૃત્વે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હશે એવો નિર્ણય લેવો પડ્યો છે.
પાટીલના નિવેદનના કારણે ભાજપ અને શિવસેના ગઠબંધનમાં તણાવ પેદા થઈ ગયો છે. શિંદેના સમર્થકો પાટીલના નિવેદનને અયોગ્ય અને કવેળાનું ગણાવે છે. કેટલાક ટીકા પણ કરે છે કે, ભાજપને દુઃખ થતું હોય તો સરકારમાંથી ખસી જઈ શકે છે. એક નેતાઓ તો ત્યાં સુધી કહ્યું કે, ભાજપે પોતાની ગરજે શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા છે. ભાજપ શિંદે પાસે આવ્યો હતો, શિંદે ભાજપ પાસે નહોતા ગયા.