
અમદાવાદમાં તાજેતરમાં માથા, હાથ, પગ વિનાની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી અને પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસને મૃતદેહના પગ પણ મળી આવ્યા હતા અને હવે સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે આ હત્યાનો ભેદ પણ ખોલી નાખ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે આ લાશ હિતેશ નામના યુવકની છે. તેના પિતાએ જ તેની હત્યા કરી હતી. આરોપી પિતાઓ પોતાનો ગુનો કબુલી લીધો છે અને હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે.
વાસણા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા પોલીસને એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો, જેને ન તો માથું હતું, ન પગ કે ન તો હાથ. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એલિસ બ્રિજ વિસ્તારમાંથી કચરાના ઢગલામાંથી એક પોલીથીન બેગમાં વ્યક્તિના કપાયેલા પગ મળી આવ્યા હતા. પોલીસને શંકા ગઇ હતી કે આ પગ હાથ, પગ વિનાની મળી આવેલી લાશના હોઇ શકે છે. પોલીસે સીસીટીવીની તપાસ કરી હતી. તપાસમાં પોલીસને સ્કૂટર પર સવાર એક વૃદ્ધ પોલીથીન બેગ ફેંકતો જોવા મળ્યો હતો. સ્કૂટરનો નંબર પણ દેખાઇ રહ્યો હતો, સ્કૂટરના નંબર પરથી તપાસ કરતા પોલીસ સ્કૂટર માલિક પાસે પહોંચી તો જાણવા મળ્યું કે તેણે પંદરેક દિવસ પહેલા આંબાવાડી વિસ્તારના એક વૃદ્ધને સ્કૂટર વેંચ્યું હતું. માહિતીના આધારે પોલીસ સ્કૂટર યુઝરના ઘરે પહોંચી હતી. જાણવા મળ્યું કે વૃદ્ધ અહીં પુત્ર હિતેશ સાથે રહે છે. ઘણા સમયથી હિતેશ વિશે કંઈ જ ખબર નથી. પોલીસે વૃદ્ધના ઘરની તલાશી લેતા અંદરથી તિક્ષ્ણ છરી અને લોહીના ડાઘા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક વૃદ્ધને કસ્ટડીમાં લીધો હતો.
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે વૃદ્ધ એમ. જાની વર્ગ-2ના નિવૃત અધિકારી છે. તેઓ ઘરમાં પુત્ર હિતેશ સાથે રહે છે, તેની બહેન પણ ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. તેની પત્ની મૃત્યુ પામી છે. હિતેશ લાંબા સમયથી ગુમ છે. પોલીસ તપાસમાં વૃદ્ધએ જ પુત્રની હત્યા કરી હોવાનું કબુલી લીધું હતું.
આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.