અમદાવાદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા હવે મેદાનમાં ઉતરી છે. રાજ્યમાં મોંઘવારી, ડ્રગ્સ અને બેકારીને લઈ વિરોધ નોંધાવવા કોંગ્રેસ દ્વારા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી 10 વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા માટે અપીલ કરશે. તો કોંગ્રેસ આવતીકાલે શનિવારે રાજ્યના તમામ તાલુકામાં વિરોધ પ્રદર્શન કરશે.
ગુજરાતમાં પ્રતિકાત્મક બંધ
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સથી લોકો પરેશાન છે, તેથી 10 સપ્ટેમ્બરે પ્રતિકાત્મક બંધ રહેશે. બંધને સફળ બનાવવા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરશે.
રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે અમદાવાદમાં બૂથ પ્રભારીઓને સંબોધશે
આવતીકાલે 27 ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ તાલુકામાં મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી અમદાવાદમાં આવશે અને ગુજરાતના બૂથ પ્રભારીઓને સંબોધશે. કોંગ્રેસના તમામ નેતાઓ 24થી 26 સપ્ટેમ્બર સુધીમાં તેમના વિધાનસભાના બૂથ પર જશે અને મતદારોનો સીધો સંપર્ક કરશે. કોંગ્રેસનો ટાર્ગેટ ત્રણ દિવસમાં દરેક વિધાનસભામાં 10000 ઘરો સુધી સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે. ખાસ કરીને નબળા બૂથ પર ફોકસ કરવામાં આવ્યું છે.