વડોદરા20 મિનિટ પહેલાલેખક: જીતુ પંડ્યા
વડોદરા શહેરમાં સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે, જેથી જેલમાં વ્યવસાય કરીને એકઠી કરેલી મૂડી જેલવાસ બાદ કોઇ વ્યવસાય કરીને સન્માનજનક જીવી શકે. ગુજરાતના વિવિધ શહેરોમાં ઓપન જેલ છે. પરંતુ, વડોદરાના શહેરના દંતેશ્વર ખાતે આવેલી ઓપન જેલમાં જ એક માત્ર ગૌ શાળા છે. આ ગૌ શાળામાં 100 ગીર ગાય સહિત 133 ગૌ વંશ છે. પાકા કામના 37 કેદીઓ ગૌ શાળાનું સંચાલન કરે છે અને પ્રતિદિન 200 લિટર દૂધનો વેપાર કરી વાર્ષિક રૂપિયા 36 લાખનું દૂધના દૂધનો વેપાર કરવામાં આવે છે. જેમાંથી રૂપિયા 2 લાખની ચોખ્ખી કમાણી કેદીઓ કરી રહ્યા છે.
પશુપાલન અને ખેતીથી 9 લાખની કમાણી
સેન્ટ્રલ જેલના અધિક્ષક બલદેવસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દંતેશ્વર ઓપન જેલની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી. 90 એકર જમીનમાં પથરાયેલી વડોદરાની આ ઓપન જેલ સિવાય ગુજરાતમાં અમદાવાદ, અમરેલી અને જૂનાગઢમાં ઓપન જેલ આવેલ છે. પરંતુ, એક માત્ર વડોદરા દંતેશ્વર ઓપન જેલ એવી છે કે, જ્યાં આધુનિક સમય અનુસાર ઓપન જેલ બનાવવામાં આવી છે. અહીં વાર્ષિક લાખો રૂપિયાનો નફા સાથે ગૌ શાળામાં ગૌમાતાને રાખીને પશુપાલનનો વ્યવસાય કરવામાં આવે છે અને પશુપાલનના વ્યવસાય સાથે કેદીઓ દ્વારા ખેતી પણ કરવામાં આવે છે અને પશુપાલન તેમજ ખેતી દ્વારા વાર્ષિક રૂપિયા 9 લાખની કમાણી કરવામાં આવે છે.

ઓપન જેલમાં કઈ કઇ સુવિધાઓ છે
વડોદરા શહેરની દંતેશ્વર ઓપન જેલમાં કામ કરતા કેદીઓ માટે અનેક સવલતો પુરી પાડવામાં આવી છે. હાલમાં આ વિશાળ જગ્યામાં કેદીઓની બેરેક, કિચન, બાર્બર શોપ, કપડાનો સ્ટોર, ઓફિસ, સ્ટાફ ક્વાટર્સ, યોગા હોલ, કમ્યુનિટી હોલ, હેલ્થ કેર સેન્ટર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, લાઈબ્રેરી, ઓપન થિયેટર જેવી સુવિધાઓ આવેલ છે અને 90 એક જમીન પૈકી 70 એકર જમીનમાં પશુપાલન અને ખેતી કરવામાં આવે છે. પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ખેતી કરવામાં આવી રહી છે.

ગૌશાળામાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે.
વડોદરા શહેરના દંતેશ્વર ખાતે આવેલી ઓપન જેલ 60 કેદીઓની ક્ષમતા ધરાવે છે. હાલમાં કુલ 37 કેદી કામ કરી રહ્યા છે. ગૌશાળામાં 100 ગીર ગાય મળી નાના-મોટા કુલ 133 જેટલા પશુ છે. 100 જેટલી ગીર ગાયો પ્રતિદિન 200 લિટર જેટલું દૂધ આપે છે. આ દૂધ વડોદરા સેન્ટ્રલ જેલ અને કેન્ટીનમાં વેચાણ કરવામાં આવે છે. જેલની કેન્ટીનમાંથી રોજનું 80 લિટર દૂધ વેચાય છે. જેલમાં પ્રતિદિન 100 લિટર દૂધ વેચાણ થાય છે. આમ કેદીઓ દ્વારા વાર્ષિક પ્રોડક્શન 36 લાખથી વધુ છે. જેમાંથી જેલમાં 6 લાખનું વેચાણ કરવામાં આવે છે તો બહાર કેન્ટીનમાં સરેરાશ 13થી 14 લાખનું વેચાણ થાય છે. આ માટે કેદીઓને વાર્ષિક 2 લાખ જેટલો પગાર પણ ચુકવવામાં આવે છે. જે તેમણી કમાણી છે. હાલમાં પશુપાલન અને ખેતીવાડીમાંથી કુલ 9 લાખથી વધુનો જેલ નફો કરે છે.

ગૌશાળામાં 100 જેટલી ગીર ગાય છે
ખેતીવાડીમાં કયો કયો પાક લેવામાં આવે છે
દંતેશ્વર ખાતે આવેલી ઓપન જેલમાં કુલ 90 એકર જેટલી જમીન આવેલી છે. જેમાંથી 70 એકર જમીન હાલમાં ઉપયોગમાં લેવાય છે. જેમાં ગૌશાળા, ખેતીવાડી અને પેટ્રોલ પંપ આવેલો છે. ખેતીવાડીમાં કામ કરતા કેદીઓ ખાસ કરીને ગૌશાળા માટે ઘાસચારો કાપી સાથે ડાંગર, ચણા જેવા પાકો માટે કામ કરી રહ્યા છે. ખેતીવાડીમાં વર્ષ દરમિયાન ડાંગર,જાર ,ચણા, ઘઉં અને શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. આ જેલમાં કામ કરતા કેદીઓ પશુપાલન માટે ઘાસચારો વધુ હોવાથી નફાનું સ્તર નીચું છે. પરંતુ, ગત વર્ષે ચણા માંથી 3 લાખ અને ડાંગરમાંથી 3 લાખનું ઉત્પાદન થયું હતું અને વાર્ષિક પશુપાલન અને ગૌશાળામાંથી 9 લાખથી વધુનો નફો થયો હતો.
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/09/11cover-4_1660058534.gif