બોટાદએક કલાક પહેલા
બોટાદ શહેરમાં શ્રીજી ડેવલપર્સ દ્વારા વિશ્વ વિક્રમ સર્જાય તેવો ભવ્યાતિભવ્ય 2075 ફૂટનો તિરંગો બનાવી અનોખો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો, આજે સમગ્ર દેશ અને દુનિયા ભારતના આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ શહેર ખાતે ઉદાહરણરૂપ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી સાધુ સંતો મહંતો મૌલવીઓ સહિત સામાજિક અને ધાર્મિક આગેવાનોએ આ આયોજન કર્યું હતું. 2075 ફૂટના ભવ્ય તિરંગાની યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે શહેરના તમામ મુખ્ય માર્ગો પર ફરી હતી, ત્યારે આ વિશ્વ વિક્રમ સર્જાયો તેવી આ તિરંગા યાત્રામાં સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ સહિત બોટાદના નામી અનામી લોકોએ સાથ સહકાર આપી હજારોની સંખ્યામાં શોભાયાત્રા યોજી હતી, ઠેર ઠેર લોકોએ આ અદ્ભુત તિરંગા યાત્રાને પુષ્પ વર્ષા અને ફૂલહારથી વધાવી અનોખો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.
સૌ લોકો તિરંગા યાત્રા જોવા ઉમટ્યાં
આ અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરનારી તિરંગા યાત્રા નિહાળવા જિલ્લાના બાળકો યુવાનો મહિલાઓ પુરુષો વૃદ્ધો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા, સાથે જ હિન્દુ મુસ્લિમ સર્વ સમાજના એકતાના ઉત્તમ દર્શન થયા હતા ત્યારે આ બોટાદની વિશ્વ વિક્રમ સર્જનારી 2075 ફૂટના ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાએ સમગ્ર રાષ્ટ્રમાં એક અનોખું સ્થાન મેળવ્યું હતું.