Wednesday, August 10, 2022

બિહારના CM પદેથી નીતિશ કુમારનું રાજીનામું, જામનગરમાં તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં બેનાં મોત | Nitish Kumar resigns as CM of Bihar, two die in electrocution during Tajia procession in Jamnagar

અમદાવાદ2 કલાક પહેલા

નમસ્કાર,
આજે બુધવાર, તારીખ 10 ઓગસ્ટ, શ્રાવણસુદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) બિહારમાં JDU અને BJPનું ગઠબંધન તૂટ્યા બાદ આજે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે.
2) અરવિંદ કેજરીવાલ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર હોલમાં ગેરંટી જાહેર કરશે.
3) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા.
4) PM મોદી પાણીપત ખાતે 2G ઇથેનોલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.
5) મોરબીના 800થી વધુ સિરામિક એકમનું વેકેશન આજથી શરૂ.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) જામનગરમાં એકસાથે 12ને વીજ-કરંટ લાગ્યો, તાજિયા જુલૂસ દરમિયાન વીજ-કરંટ લાગતાં બેનાં મોત

જામનગરના ધરાનગર-2માં તાજિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના ઘટી હતી. તાજિયા દરમિયાન 12 લોકોને વીજ-કરંટ લાગ્યો છે, જેમાં બેનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં 10 ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં બે યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગોજારી ઘટનાથી માતમ છવાઈ ગયો છે.

વાંચો સમાચાર વિગતવાર
2) નશાના ઓવરડોઝથી યુવાનનું મોત, વડોદરામાં મૃતકની માતાએ આક્રંદ સાથે કહ્યું: ‘મારા દીકરાને જબરદસ્તી ઇન્જેક્શન લગાવીને મારી નાખ્યો છે’
વડોદરાના સમા વિસ્તારમાં રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતા મિત્રોને મળવા રવિવારે રાત્રે ગયેલા નિવૃત્ત લશ્કરી જવાનના એકના એક પુત્ર વિવેક કરણનું શંકાસ્પદ કેફી પીણું પીવાથી મોત નીપજતાં ચકચાર મચી ગઈ ગઈ હતી. યુવકનું નશાના ઓવરડોઝથી મોત થયું હોવાનું ફોરેન્સિક વિભાગનું પ્રાથમિક તારણ છે, ત્યારે મૃતક યુવકની માતા શૌરી કરણે રડતાં રડતાં જણાવ્યું હતું કે જે લોકો બોલી રહ્યા છે એ ખોટું બોલી રહ્યા છે. મારા દીકરાને જબરદસ્તી ઇન્જેક્શન લગાવીને મારી નાખ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર
3) રાજકોટ ઇન્કમટેકસનું ઓપરેશન, ક્યુટોન સિરામિક ગ્રુપ પર ઇન્ક્મટેકસની તવાઈ, કરોડોની કરચોરી પકડાવાની આશંકા

અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં છેલ્લા મહિનાઓમાં ઇન્કમટેક્સે દરોડા ઓપરેશન કર્યા બાદ હવે રાજકોટનો વારો લેવામાં આવ્યો હોય એમ સવારથી ટોચના સિરામિક ગ્રુપ પર તવાઈ ઉતારવામાં આવી હતી. મોરબી, વાંકાનેર, રાજકોટ તથા અમદાવાદમાં ક્યુટોન સિરામિક ઉપરાંત ડેસ્ટીની વગેરે પર મોટે પાયે સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર
4) માતા-પિતાનો પ્રેમ મેળવવા 8 વર્ષની બાળકીએ કહ્યું, ‘યુરીન લાલ, ભૂરા, પીળા રંગનું આવે છે; હકીકતમાં બાળકી યુરીનમાં કલર મિક્સ કરતી હતી
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખોબલા જેવડા ગામમાં રહેતા મહેનતકશ પરિવારમાં માતા-પિતા પ્રેમ ઓછો કરે છે, તેવી માનસિકતા રાખીને પીડાતી 8 વર્ષની બાળકીએ માતા-પિતાનો પ્રેમ મેળવવા અજમાવેલી તરકીબ ચોંકાવી દે તેવી છે. તબીબ પણ કુમળા માનસની બાળકીએ અજમાવેલી તરકીબ સાંભળી ચોંકી ઉઠ્યા હતા. આ બાળકીએ માતા-પિતાનો પ્રેમ મેળવવા માટે પોતાના યુરીનમાં વોટર કલર ભેળવી માતા-પિતાને ફરિયાદ કરતા અશિક્ષીત માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર
5) બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારનું રાજીનામું, 7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો
બિહારમાં JDU અને BJPનું ગઠબંધન 5 વર્ષ પછી ફરી તૂટી ગયા બાદ નવી સરકારની રચના માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બુધવારે સાંજે 4 વાગે નીતિશ કુમાર ફરી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે RJDના નેતા તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. મંગળવારે સાંજે નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને 7 પક્ષના 164 ધારાસભ્યનું સમર્થનનો દાવો કરતો પત્ર સોંપ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર
6) મહારાષ્ટ્રમાં 18 મંત્રીઓએ શપથ લીધા,ભાજપ-શિંદે જૂથમાંથી 9-9 ધારાસભ્યો મંત્રી બન્યા, મંત્રીમંડળમાં લોઢા સૌથી અમીર; CM સૌથી ઓછું ભણેલા
મહારાષ્ટ્રમાં CM એકનાથ શિંદેના શપથ ગ્રહણના 39 દિવસ પછી આજે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. મંત્રીમંડળ વિસ્તરણમાં 50-50 ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. બંને જૂથમાંથી 9-9 ધારાસભ્યો મંત્રી બન્યા છે.

વાંચો સમાચાર વિગતવાર
7) એક વર્ષમાં PMની સંપત્તિ 26 લાખ વધી, વડાપ્રધાન મોદી પાસે રૂ. 2.23 કરોડની સંપત્તિ, 1 કરોડની જમીન પણ દાન કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે 2.23 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તેમાંથી મોટાભાગની રકમ બેંકમાં ડિપોઝીટ છે. PM પાસે હવે કોઈ સ્થાવર મિલકત્ત નથી. કારણ કે તેમણે ગુજરાતનાં ગાંધીનગરમાં પોતાની જમીનમાંથી અમુક હિસ્સો દાન કરી દીધો છે. આ જમીનની કિંમત 1.1 કરોડ રૂપિયા હતી.

વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રાજકોટના બિઝનેસમેન રાખડીને અમદાવાદ-રાજકોટ વચ્ચે સ્વખર્ચે 4 કારમાં ભાઈઓ સુધી વિનામૂલ્યે પહોંચાડે છે.
2) રાજકોટમાં પરમેશ્વરી હબ નામના બિલ્ડીંગમાં આગ લાગી, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા, લાખોનું નુકસાન થવાની ભીતિ.
3) અમદાવાદમાં 2 લાખ, સુરત અને રાજકોટમાં એક લાખથી વધુ તો વડોદરામાં 50 હજાર જેટલા તિરંગાનું વેચાણ થયું.
4) ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે FBIના દરોડા,એજન્ટો ઘરને કોર્ડન કરી તપાસ શરૂ કરી, ટ્રમ્પે કહ્યું- તેઓ મને 2024ની ચૂંટણી લડતા અટકાવી રહ્યા છે.
5) PAK સેનાના કાફલા ઉપર આત્મઘાતી હુમલો, રિક્ષામાં બોમ્બ લગાવી આવેલા હુમલાખોરે સેનાની ગાડીને ટક્કર મારી, 4ના મોત.

આજનો ઈતિહાસ
વર્ષ 1990માં આજના દિવસે 15 મહિનાની યાત્રા બાદ મગૈલન અંતરિક્ષ યાન શુક્ર ઉપર પહોંચ્યું હતું.

આજનો સુવિચાર
આપણી જિંદગીમાં જો જવાબદારીઓ અને જોખમો ન હોત તો જિંદગી કદી પણ જીવવા યોગ્ય ન હોત! –ગાંધીજી

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/09/morning-podcast-2021730-x-548new3_1660062493.jpg

Related Posts: