સાબરકાંઠા (હિંમતનગર)18 મિનિટ પહેલા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં હિંમતનગરના વિરપુરમાં રવિવારે યોજાયો હતો.

યુવાનો શિક્ષિત બની સમાજને મદદરૂપ બને તેવી અપીલ
સમારોહમાં મંત્રીએ જણાવ્યું હતું કે ડો.બાબાસાહેબ આંબેડકરે સમાજને સંગઠીત બનવા, શિક્ષિત બનવા અને સંઘર્ષ કરવા કહ્યુ હતું. આજના સમયમાં સમાજના લોકો શિક્ષિત બન્યા છે સમાજ બદલાઈ રહ્યો છે. સમાજમાં સુખી સંપન્ન લોકો છે પોતાની મહેનતના જોરે આગળ આવ્યા છે. વિચારધારા સારી છે સમાજનું ભવન બનતું હોય અને લોકો આ ભવનનો લાભ લઈ શકે તે સારો વિચાર છે. અંબાજીમાં 100 વર્ષ પહેલા વણકર સમાજ વાડી બની છે તે એક ગૌરવ લેવા જેવી બાબત છે. આપણે કોઈની પાસે માંગવાનું નથી પોતાની ઈચ્છા પ્રમાણે મદદ કરી આ ભવન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે યુવાનો લાઇબ્રેરીનો વધુમાં વધુ ઉપયોગ કરી યુવાનો શિક્ષિત બની સમાજને મદદરૂપ બને અને સારી જગ્યાએ નોકરી ધંધા કરી આગળ વધે તેવી અપીલ કરી હતી.

મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમમાં ઇડર ધારાસભ્ય હિતુભાઈ કનોડીયા, વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરી, મહામંડલેશ્વર શંભુનાથજી બાપુ, સમાજના અગ્રણી કે કે ચૌહાણ, મણિલાલ વાઘેલા, અમૃતભાઈ એસ પરમાર વણકર સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.



