- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Krishna Janmotsav Was Celebrated In A Grand Manner In Devbhumi Dwarka Amid Tight Security; Four Lakh Devotees Took Advantage Of The Darshan In Three Days
દ્વારકા ખંભાળિયા10 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર્વ જન્માષ્ટમીની દેવભૂમિ દ્વારકામાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકા ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જુદા જુદા વિસ્તારોમાંથી આવ્યા હતા અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. એક અંદાજ મુજબ ત્રણ દિવસમાં આશરે ચાર લાખ જેટલા કૃષ્ણ ભક્તોએ કાળિયા ઠાકોરની કર્મભૂમિમાં દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

ત્રણ દિવસમાં આશરે ચાર લાખ જેટલા કૃષ્ણ ભક્તોએ પુણ્યનું ભાથુ બાંધ્યું
જન્માષ્ટમી પર્વની ઉજવણી કોઈપણ વિઘ્ન વગર સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે દ્વારકાધીશ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા તેમજ મંદિર વ્યવસ્થાની સુંદર કામગીરી ઊડીને આંખે વળગે તેવી બની રહી હતી.

આઠમના દિવસે આશરે 2.11 લાખ લોકોએ દર્શન કર્યા
જગત મંદિરમાં જુદા જુદા વિસ્તારોમાંથી આવતા હજારોની સંખ્યામાં યાત્રાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે અને ધક્કા મૂકી ન સર્જાય તે માટે બેરીકેટની વ્યવસ્થા ખૂબ જ સગવડતા રૂપ બની રહી હતી. આ માટે જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડેયની સીધી દેખરેખ હેઠળ મંદિર વ્યવસ્થાના ડીવાયએસપી સમીર સારડા સહિતનો સમગ્ર સ્ટાફ ખડે પગે રહ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા અશક્તો, અપંગો તેમજ વૃદ્ધોને સહાયભૂત થઈ અને દર્શન કરાવતા આ દર્શનાર્થીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. સતત ત્રણ દિવસ પોલીસ તથા હોમગાર્ડસના જવાનો ખાસ કરીને યાત્રાળુ- શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા સાથે સુરક્ષામાં પણ અડીખમ રીતે ઉભા રહ્યા હતા.

સમગ્ર વ્યવસ્થાનું સી.સી.ટી.વી. કેમેરામાં સતત મોનીટરીંગ
દ્વારકાધીશ મંદિર ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એક અંદાજ મુજબ તારીખ 18ના રોજ સાતમના દિને આશરે 74 હજાર, તારીખ 19મીના રોજ આઠમના જુદા જુદા ત્રણ મહત્વના દર્શનોમાં આશરે 2.11 લાખ તેમજ ગઈકાલે શનિવારે પારણા નોમ નિમિત્તે આશરે 1.18 લાખ દર્શનાર્થીઓએ મંદિરમાં દર્શન કર્યા હતા. દ્વારકાધીશ મંદિરને કલાત્મક રોશનીથી શણગારવામાં આવતા ખુબ જ સુંદર અને નયનરમ્ય લાગતું હતું. આ સમગ્ર વ્યવસ્થાનું સી.સી.ટી.વી. કેમેરામાં સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.

તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા-બંદોબસ્ત કરવામાં આવ્યો
આમ, છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણ સંગે જન્મોત્સવ પર્વને માણી સંતોષ સાથે ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. આ સમગ્ર સપ્તાહ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા ઉપરાંત નજીકના બેટ દ્વારકા, શિવરાજપુર બીચ સહિતના જુદા જુદા વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આ માટે પણ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

