કચ્છનો તેમનો પ્રવાસ આ વખતે સ્મૃતિ વનનો છે. 2001ના દારુણ ધરતીકંપે કચ્છને તબાહ કરી નાખ્યું હતું. ચારે તરફ તૂટેલા કાટમાળ, નીચે દબાયેલા નાગરિકો, શાળાના બાળકો પીઆર મોતનું તાંડવ, તૂટેલા રસ્તાઓ, ઉદ્યોગોની બરબાદી… આ બધુ જોઈને એમ જ થતું હતું કે હવે આ કચ્છ ક્યારેય બેઠું થઈ શકશે કે નહીં?
Image Credit source: File Image
26 જાન્યુઆરી, 2001ના પ્રજાસત્તાક દિવસની સવારે અંજારની 18 પ્રાથમિક શાળાના બાળકો ત્રિરંગા ધ્વજ સાથે નીકળવાની તૈયારીમાં હતા ત્યાં જમીન ખળભળી. 6.9ના રિકટર સ્કેલનો ભૂકંપ. કોણ બચી શકે? ક્યાં જઈ શકે? 185 બાળકો અને 22 શિક્ષકો દટાઈ મર્યા. 28 ઓગસ્ટ, 2022ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભુજના સ્મૃતિ વન સ્મારકને ખુલ્લુ મૂકશે. આ ભૂકંપમાં કચ્છના (Kutch) 1000 વિદ્યાર્થીઓએ અને શિક્ષકો પ્રકૃતિના કોપનો ભોગ બન્યા હતા.
સ્વાભાવિક રીતે વડાપ્રધાનને એ દિવસોની કરૂણ યાદ આવશે. તેનું બીજું કારણ એ પણ છે કે ત્યારે મોદી ના તો વડાપ્રધાન હતા, ના મુખ્યમંત્રી. 12,932 નાગરિકોનું જીવન આ ભૂકંપમાં સમાપ્ત થઈ ગયું હતું, કચ્છ જાણે કે ભૌગોલિક હાડપિંજર બની ગયું. તે સમયે કચ્છની સહાયે પહોંચેલાઓમાં મોદી આગળ હતા. અસંખ્ય સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, દેશ પરદેશના સમજો, સરકારોની સહાયનું સંકલન કરીને અનેક મોરચે અનેક પ્રકારની રોજની મદદનું આખું માળખું ગોઠવાયું. મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ચીનમાં આવા જ ભૂકંપમાં નામશેષ થયેલાઓની સ્મૃતિમાં સ્મારક બન્યું છે તેનો અભ્યાસ કરીને આપના વાસ્તુ શિલ્પી બાલકૃષ્ણ દોશીની રાહબરી નીચે આ ભવ્ય સ્મારક બન્યું છે. વીર બાળક સ્મારકના અર્પણ સમયે મોદી ભૂકંપથી તારાજ 100 પરિવારોને પણ મળશે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને ભાજપમાં સંગઠનનું કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને મોવડી મંડળે મુખ્યમંત્રી બનવાનો “આદેશ” આપ્યો તે પણ રોચક ઘટના છે. 2001માં ગુજરાતમાં સરકાર વિશે ચિંતિત વરિષ્ઠ નેતાગીરીએ નિર્ણય લીધો અને એક સવારે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો મોદી પર ફોન ગયો:કહાં હો? જવાબ મળ્યો, સ્મશાન ઘાટ પર! માધવરાવ સિંધિયા વિમાન અકસ્માતમાં ગોપાલ બિષ્ટ નામે પત્રકાર પણ માર્યો ગયો હતો. સંગઠનના નાતે નરેન્દ્ર મોદી તેમનાથી પરિચિત હતા. તેના અગ્નિસંસ્કાર માટે સ્મશાને ગયા હતા. અટલ જીએ મળવા આવવાનું કહ્યું, સાંજે તેમના વડાપ્રધાન નિવાસે મળ્યા ત્યારે કહેવામાં આવ્યું કે તમારે ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સંભાળવાની છે.
આ એક મોટો પડકાર હતો તે તેમણે ઝીલી લીધો તે દરમિયાન તેમના કાયમ માટેના પ્રિય કચ્છને માટે જે અગણિત કામ કર્યા, ઉદ્યોગોને પ્રોત્સાહિત કર્યા, ગામોનું નવનિર્માણ કર્યું,, મકાનો અને રસ્તાઓ થયા તે “આપત્તિને અવસરમાં” બદલવાની દીર્ઘ કહાણી છે પણ તેમની બે ઉપલબ્ધિનો સાક્ષી છુ એટ્લે તેની વાત કરું. કચ્છ રણોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે કેટલાકને એ માત્ર લોકપ્રિયતા માટેનો સ્ટંટ લાગ્યો હતો. પ્રથમ રણોત્સવ સમયે ભુજના ઉમેદ ભવનમાં તેમનો ઉતારો હતો.
અત્યારે સુરક્ષાને લીધે તેમની આસપાસ સુરક્ષકર્મી અને પોલીસના કાફલા હોય છે તેવી ઘેરાબંધીમાં તેમના સુધી પહોંચવું મુશ્કેલ જ નહીં, અશક્ય હોય છે, તેવી સ્થિતિ ત્યારે નહોતી. ઉમેદભવનમાં જ મારો પણ ઉતારો હતો. એક સ્થાનિક અખબારના તંત્રી સાથે મુખ્યમંત્રીને મળવાનું થયું અને કચ્છ ઉત્સવ વિશે વાતો થઈ ત્યારે તેમણે દ્રઢ વિશ્વાસના રણકા સાથે કહ્યું, “એક દિવસ તમે જોજો, કચ્છનું આ રણ અને રણોત્સવ દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણ બની જશે. આજે આ વાત સાચી પડી છે.
બીજું ઐતિહાસિક કાર્ય માંડવી પાસે “ક્રાંતિ તીર્થ” નું નિર્માણ છે. નહીં તો આ ગામમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જેવો આંતરરાષ્ટ્રીય દેશભક્ત ક્રાંતિકાર જન્મ્યો હતો તેની ભારતને અને દુનિયાને ક્યાંથી ખબર પડી હોત ખરી? જોકે પ્રવાસન ખાતું તેના નવીનીકરણ માટે ખર્ચ કરવાનું છે એવું સાંભળ્યુ છે પણ મુસીબત એ છે કે સ્મારકના સ્પિરિટને ધ્યાનમાં ના રાખવામા આવે તો ગમે તેટલો ખર્ચ નિરર્થક બની જાય એ બાબત પર મોદીના આ ઈતિહાસબોધના કાર્ય માટે વિચારવું જોઈએ.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)