Randhan Chhath 2022 Know The Rules And Rites And Importance

featured image

Randhan chhath 2022: શ્રાવણ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી સિવાય પણ અનેક તહેવારો આવે છે. રાંધણ છઠ એ ગુજરાતી કેલેન્ડરમાં મહત્વનો દિવસ છે. તે કેલેન્ડરમાં શીતળા સાતમના એક દિવસ પહેલા આવે છે. શ્રાવણ માસમાં વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. 17 ઓગસ્ટ, 2022ના રોજ રાંધણ છઠ છે.

રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. શીતળા સાતમના દિવસે તમામ પ્રકારની રસોઈ પર પ્રતિબંધ હોવાથી મોટાભાગના ગુજરાતી પરિવારો રાંધણ છઠના દિવસે ભોજનની વ્યવસ્થા કરે છે. રસોઈ માટે મહત્વનો દિવસ હોવાથી તેને ‘રાંધણ’ (રસોઈનો દિવસ) છઠ નામ આપવામાં આવ્યું હતું.

શું છે ધાર્મિક માન્યતા

ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. આ દિવસ, જે  શ્રાવણ મહિનાના વદ પક્ષમાં આવે છે, તેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાનો પણ નિયમ છે. વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.

રાંધણ છઠ કેવી રીતે ઉજવવામાં આવે છે?

આ વ્રત રાખનારી મહિલાઓ બપોર સુધી કંઈ ખાતી નથી અને પછી પોતાના ઘરમાં પવિત્ર સ્થાન પર દેવીની પૂજા કરે છે અને છઠ્ઠી માતાની આકૃતિ યોગ્ય દિશામાં બનાવે છે. પૂજામાં દહીં, ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવા માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ વ્રતમાં હળની પૂજા કરવામાં આવે છે, તેથી હળમાંથી ખેડેલા અનાજ અને ફળ ખાવામાં આવતા નથી.  

રાંધણ છઠમાં આ નિયમોનું કરવું પડે છે પાલન

  • આ વ્રતમાં ગાયનું દૂધ કે દહીં  ઉપયોગમાં લઈ શકાતું નથી.
  • આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે.
  • કોઈ ખેડેલું અનાજ કે ફળ ખાઈ શકાતું નથી.

ઉત્તર ભારતમાં ઓળખાય છે હળ છઠ તરીકે

ઉત્તર ભારતમાં, જન્માષ્ટમી પહેલા આવતી આ છઠને હલ ષષ્ઠી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ હળ વડે ખેડેલી વસ્તુનું સેવન કરતી નથી. હળ છઠનો દિવસ બલરામજીને સમર્પિત છે અને તેમનું મુખ્ય શસ્ત્ર હળ હતું, જેના કારણે હળ દ્વારા ખેડાણ કરીને ઉગાડવામાં આવતી વસ્તુઓનું સેવન થતું નથી. ભગવાન બલરામને શેષનાગના અવતાર તરીકે પૂજવામાં આવે છે.

હળ છઠ સિવાય આ નામે પણ ઓળખાય છે

આ શુભ તહેવારને હલષ્ટી, હળ છઠ, હરચ્છથ વ્રત, ચંદન છઠ, તિંછી, તીન્ની છઠ, લાલી છઠ, કમર છઠ અથવા ખમર છઠ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે.

રાંધણ છઠ નિમિત્તે ખાસ વાનગીઓ બનાવવામાં આવે છે

  • રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી રસોઈ, ખોરાકનો બીજા દિવસે  જમવામાં ઉપયોગ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે ચૂલાને ઠારવામાં આવતા હોવાથી છઠના દિવસે બનાવેલી રસોઈ ખાવાનો મહિમા છે.
  • પરિવારની તમામ મહિલાઓ રસોઈમાં ભાગ લે છે.  આ દિવસે તૈયાર કરવામાં આવતો ખોરાક રોજીંદા કરતા અલગ હોય છે. આજે પ્રાદેશિક વાનગીઓ ઉપરાંત લોકો થોડા દિવસો માટે સ્ટોર કરી શકાય તેવી વાનગીઓ બનાવે છે.
  • આ દિવસે બનતી ખાસ વાનગીઓમાં મીઠાઈ,  ગુલાબ જાંબુ, શક્કરપારા, મોહનથાળ, શાક, બાજરીના રોટલા, વિવિધ પુરીઓ, થેપલા, મીઠા ઢેબરા, પરોઠા, સાબુદાણાની ખીચડી, મમરા,ચેવડોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકો પાણીપુરી, ભેલપુરી જેવી બીજા દિવસે જમવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી વાનગીઓ બનાવે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Previous Post Next Post