આણંદ8 કલાક પહેલા
- કૉપી લિંક

- બનાવની મોડી સાંજ સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
- પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ પણ કંઇ જાણવા ન મળ્યું
- સમગ્ર ઘટનામાં કોણ સંડોવાયેલું છે તેને લઇને રહસ્ય સર્જાયું
આણંદથી આશરે 8 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં રહેતી ગરીબ અને માનસિક અસ્વસ્થ આશરે 22 વર્ષીય યુવતી પર શારીરિક ભૂખ સંતોષવા કોઈ નરાધમે દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી દેવાનો બનાવ પ્રકાશમાં આવતા જ ચકચાર મચી ગઇ છે.

યુવતીની આજુબાજુના સ્થાનિકોના કહેવાથી તેની તપાસ થઈ
આ બનાવને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે, આણંદથી 8 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં આશાવર્કર બહેનો ગર્ભવતી મહિલાઓનો સર્વે કરવા ગઇ હતી.જેમાં આશાવર્કર બહેનો ગામની સીમ વિસ્તારમાં પહોંચી હતી. ત્યારે એક મંદિરના ઓટલા ઉપર બેઠેલી માનસિક અસ્વસ્થ યુવતીની આજુબાજુના સ્થાનિકોના કહેવાથી તેની તપાસ હાથ ધરી હતી.
માનસિક અસ્વસ્થ યુવતીની માતા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી
જેમાં તેને આઠ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આશા વર્કર બહેને તાત્કાલિક જય ભારતીય ફાઉન્ડેશનના હંસાકુવારબા રાજને સંપર્ક કરતા તુરંત તે ઘટના સ્થળે પહોંચી નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જતા સમગ્ર હકીકત બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે, માનસિક અસ્વસ્થ યુવતીની માતા વર્ષો પહેલાં મૃત્યુ પામી હતી અને પિતા એક છાપરાંમાં રહી મજૂરીકામ કરી જીવન ગુજરાન ચલાવે છે. જ્યારે આ યુવતી ભટકતું જીવન જીવે છે.nહાલમાં તે સગર્ભા છે અને તેને આઠમો માસ ચાલી રહ્યો છે. યુવતીને હાલ નારી કેન્દ્ર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે. જોકે સમગ્ર ઘટના પાછળ કોનો હાથ છે તે હાલ રહસ્ય છે. પોલીસ દ્વારા આ અંગે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી.
ફૂટેજ અને બાતમીદારોને સક્રિય કરી આરોપીને ઝડપી પાડીશું
પોલીસ દ્વારા હાલમાં સમગ્ર ઘટના બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ ઉપરાંત બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. આગામી સમયમાં સમગ્ર ઘટનામાં જે પણ કોઈ સંડાવાયેલું હશે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. – બી એમ પટેલ, પીએસઆઇ, વાસદ પોલીસ સ્ટેશન.
હાલમાં યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, પણ કોઈ માહિતી મેળવી શક્યાં નથી
મને આશા વર્કરબેનનો ફોન આવ્યો હતો, અને તેમણે સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. હાલમાં યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે, પણ કોઈ માહિતી મળી નથી રહી. યુવતી કે જેનો એક હાથ અને એક પગ કામ કરતો નથી, જે માનસિક અસ્વસ્થ છે હવે તેને ન્યાય મળે તે માટે હું તમામ પ્રયત્નો કરીશ. આ ઉપરાંત આ કાંડમાં જે સંકળાયેલા છે તેમના વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે. – હંસાકુંવરબા રાજ, જય ભારતીય ફાઉન્ડેશન, અડાસ