Tuesday, August 30, 2022

Surat : સતત બીજા દિવસે SMCની ડિમોલીશન કામગીરી, વધુ 21 ગેરકાયદેસર તબેલાઓ જમીનદોસ્ત | Surat: Demolition operation for second consecutive day by Rander zone, 21 more illegal stables razed

આજે સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર (Rander ) ઝોનના વિસ્તારમાં આવેલા 21 જેટલા તબેલાઓ દુર કરવાની સાથે 15 હજાર ચોરસ ફુટ જમીન ખાલી કરાવવામાં આવી છે.

Surat : સતત બીજા દિવસે SMCની ડિમોલીશન કામગીરી, વધુ 21 ગેરકાયદેસર તબેલાઓ જમીનદોસ્ત

demolition stables (File Image )

રાજ્યમાં રખડતા ઢોર (Stray Cattles ) મુદ્દે હાઈકોર્ટ દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવ્યા બાદ સુરત મહાનગર પાલિકા(SMC) પણ શહેરભરમાં રખડતા ઢોરો પર અંકુશ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે. ગઈકાલે રાંદેર ઝોનમાં બનાવવામાં આવેલા 25 ગેરકાયદેસર તબેલાઓનું દબાણ દુર કરવામાં આવ્યા બાદ આજે સવારથી વધુ એક વખત ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્શલ અને એસઆરપીના જવાનો સાથે રાંદેર ઝોનના અધિકારીઓ ટીમ સાથે ગેરકાયદેસર તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરતાં પશુપાલકોએ આંશિક વિરોધ નોંધાવ્યો હતો. જોકે, બપોર સુધી 21 જેટલા ગેરકાયદેસર તબેલાઓ દુર કરવામાં મનપાની ટીમને સફળતા સાંપડી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર એક તરફ માલધારી સમાજ દ્વારા રખડતા ઢોર મુદ્દે વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આજે પણ વહેલી સવારથી રાંદેર ઝોન દ્વારા ગેરકાયદેસર તબેલાઓને જમીનદોસ્ત કરવાનું અભિયાન યથાવત્ રાખવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જહાંગીરાબાદ ખાતે આવેલ ટીપી 42ના એફપી 152 પર છેલ્લા ઘણા સમયથી ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર તબેલાઓના શેડને દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે રાંદેર ઝોનની ટીમ દ્વારા આ વિસ્તારમાં આવેલા 21 જેટલા તબેલાઓ દુર કરવાની સાથે 15 હજાર ચોરસ ફુટ જમીન ખાલી કરાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં સમાવિષ્ટ જહાંગીરાબાદ અને આસપાસના વિસ્તારમાં સરકારી જમીન પર માલધારી સમાજ દ્વારા ગેરકાયદેસર તબેલાઓ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જે અંગે હવે રાંદેર ઝોન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ ગઈકાલે 25 અને આજે વધુ 21 તબેલાઓ હટાવવામાં આવ્યા છે. જો કે, હજી પણ સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન દ્વારા સર્વેને આધારે આગામી દિવસોમાં વધુ ગેરકાયદેસર તબેલાઓ દુર કરવામાં આવશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે.

Related Posts: