છોટાઉદેપુરએક કલાક પહેલા
- કૉપી લિંક
- ખાટીયાવાંટ પ્રાથમિક શાળાના રોષિત શિક્ષિકાએ આવેદન પત્ર આપ્યું
છોટાઉદેપુર તાલુકાના ધંધોડાના રહીશ અમ્રિતાબેન અશોકભાઈ ચોઈથીયાણી હાલ છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકાની ખાટીયાવાંટ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જેઓ 2 માસ અગાઉ છોટાઉદેપુર તાલુકાની સીમલફળિયા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા હતા.
પરંતુ આ શાળામાં ચાલતી ગેરરીતિઓ અંગે પ્રશ્ન ઉઠાવતાં શાળાના એસએમસી સભ્યો તેમજ ગામલોકો દ્વારા ગુનાહિત કાવતરું રચી ષડ્યંત્ર બનાવી પાયાવિહોણા મન ઘડત આક્ષેપો કરી તેમની વહીવટી કારણોસર સજાના ભાગે બદલી કરી કવાંટ તાલુકાના ખાટીયાવાટ કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ આવેદનપત્રમાં શિક્ષિકાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર સીમલફળિયાની પ્રાથમિક શાળામાં મેં નિષ્ઠા ખંત, અને ઉત્સાહપૂર્વક તેમજ કર્તવ્ય પરાયણતાથી મારી ફરજ અદા કરી હતી. 12 વર્ષ જેટલો સમય થયેલ મારે કોઈ સ્ટાફ કે મિત્ર વિદ્યાર્થીઓ સાથે અણબનાવ, ઝઘડો કે કલહ કંકાસ થયો નથી. પરંતુ શાળામાં ચાલતી ગેરરીતિઓ અંગે પ્રશ્ન ઉઠાવતાં મારી સામે કાવતરું ઘડી મારી બદલી ખાટીયાવાંટ ખાતે કરી દેવામાં આવી છે.
છેલ્લા 2 વર્ષથી શાળામાં ફરજ દરમિયાન ગેરરીતિ પજવણીની ફરિયાદો શિક્ષિકાએ જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં વારંવાર આધાર પુરાવા સાથે કરી છે. છતાં તે ફરિયાદ ધ્યાને લેવામાં આવી નથી અને કચેરી કાર્ય પ્રણાલી આંખ આડા કાન કરે છે. જેથી ન્યાય માંગવો કોની પાસે? અગાઉ કરેલી અરજીઓ વાઇરલ કરી દેવાતી હતી તથા શિક્ષિકાને ધાક ધમકી પણ અપાતી હતી. પ્રાથમિક તપાસના આધારે તેની વહીવટી બદલી કરવામાં આવી છે.