Bharuch: ચૂંટણીઓ આવતા જ પક્ષપલટાની મૌસમ પૂરબહારમાં ખીલી છે. જેમાં વધુ એક ધારાસભ્યના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી ભાજપમાં જોડાયાની અફવા વહેતી થતા ખુદ ધારાસભ્યએ તેના પર સ્પષ્ટતા કરી કે હું કોંગ્રેસમાં જ છુ અને અહીંયા જ રહીશ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા જોડતોડની રાજનીતિ તેજ બની છે. મજબૂત નેતાઓને પોતાના પક્ષમાં લાવવા જોર લગાવાઈ રહ્યું છે. ત્યારે ભરૂચના જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી (Sanjay Solanki) ભાજપ (BJP)માં જોડાય તેવી અફવાઓ વહેતી થઈ હતી. આ અફવાને લઈને કોંગ્રેસ (Congress) ધારાસભ્ય સંજય સોલંકીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું કોંગ્રેસમાં છું અને અહીંયા જ રહીશ. ભાજપ તરફથી સીધી કે આડકતરી રીતે કોઈ ઓફર થઇ નથી. સાથે જ તેમણે દાવો કર્યો કે, આગામી ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો કોંગ્રેસ જીતશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટાની મૌસમ પણ ખીલી છે. તાજેતરમાં જ જૂનાગઢની વિસાવદર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા છે. રિબડિયાએ ભાજપમાં આવતા જ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. એક સમયે સિંહ ક્યારે ઘાસ ન ખાય, હું ક્યારેય ભાજપમાં નહીં જોડાઉ એવુ કહેનારા હર્ષદ રિબડિયાએ પણ ચૂંટણીઓ નજીક આવતા જ કોંગ્રેસ છોડી કેસરિયા કરી લીધા છે. સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા અને ખેડૂત આગેવાનની છબી ધરાવતા હર્ષદ રિબડિયાનું ગ્રામ્ય વિસ્તારોમાં સારુ પ્રભુત્વ છે. ગ્રામ્યમાં તેમની પકડ સારી છે.
જો કે હજુ પણ કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના ભાજપમાં આવવાની ચર્ચા છે. વહેલા મોડા તેઓ પણ કેસરિયા કરે તેવી ચર્ચા છે. હજુ સૌરાષ્ટ્રના પણ અનેક કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી અટકળો છે.