Dharmaj Day will be celebrated on January 12 sca – News18 Gujarati

Salim chauhan, Anand: ધર્મજ ગામે છેલ્લા 17 વર્ષ ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ધર્મજનાં લોકો આ દિવસે અહી આવે છે. કોરોના કાળ બાદ ચાલુ વર્ષે ધર્મજ ખાતે તિરંગા રંગની થીમ અને મિલેટસની વાનગીઓ સાથે 17માં ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવશે. આ પ્રંસગે એક હજારથી વધુ NRI આવશે.

ધર્મજ ડેની ઉજવણીની થીમ જાણો

મિલેટસ એટલે કે આપણા પરંપરાગત જાડા ધાન્યમાં આયર્ન તથા અન્ય ફાયદાકારક તત્વો વધારે હોઈ તેના ઉપયોગથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ભારત દેશ જાડા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. જેની નિકાસ વધે તો દેશના ધરતીપુત્રો ફરી એક વખત બાજરી, બાવટો, જુવાર, રાગી અને કોદરી જેવા પાકો તરફ પાછા વળે.

જેના કારણે ખેડૂતની આર્થિક સમૃદ્ધિ વધવા સાથે લોકોની સ્વાસ્થ્ય પણ જળવાય. કાર્યક્રમની સાથે સાથે વલ્લભ વિદ્યાનગરની એસ. એમ. પટેલ કોલેજ ઓફ હોમસાયન્સના સહયોગથી મિલેટસ અંગે પુન: જાગૃતિ આવે તથા તેની પોષણક્ષમતા વિશે લોકો જાણતા થાય તે માટે સેમિનારનું આયોજન પણ થઇ રાખવામાં આવ્યું છે.

તમારા શહેરમાંથી (આણંદ)

કોનું કોનું સન્માન થશે ?

ચાલુ વર્ષે ધર્મજમાં ગૌરવથી સન્માનિત થનાર મહાનુભાવોમાં વલ્લભ વિદ્યાનગરના કુશળ વહીવટકર્તા ધર્મજીયન મહેન્દ્રભાઈ જશભાઈ પટેલ (બાબાકાકા) તથા લંડન સ્થિત કેતનભાઈ વિનુભાઈ પટેલ કે જેઓ આફ્રિકા અને બ્રિટન ખાતે મોટા ગજાના ઉદ્યોગપતિ હોવા સાથે સમયે સમયે વતન માટે દાનની સરવાણી વહેડાવતા રહે છે. યુવા પ્રતિભાને અપાતા ધર્મજ જ્યોત સન્માન માટે રિશી કેતનભાઈ બી. ભુપેન્દ્રભાઈ પટેલ પસંદ થઇ છે. મૂળ ધર્મજના વતની એવા રિશી પટેલ ઉગતી પ્રતિભા સમા ઈંગ્લેંડમાં કાઉન્ટી ક્રિકેટ પ્લેયર છે.

મોટી સંખ્યામાં એનઆરઆઇ હાજર રહેશે જાણો કારણ

ઉજવણી અંગે માહિતી આપતા રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી 12 જાન્યુઆરી 2023,પોષ વદ પાંચમ વિક્રમ સંવત 2, 979ને ગુરૂવાર સ્વામી વિવેકાનંદ જયંતિના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે. જેના માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. પૂર્વ તૈયારી અને પૂર્ણ તૈયારીની નેમ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના નેજા હેઠળ ઉજવાતા આ પ્રસંગે ચાલુ વર્ષે મોટી સંખ્યામાં ધર્મજીયનો પધારશે. જેમાં બે મુખ્ય કારણો છે. એક તો કોરોનાકાળમાંથી ભારતને મળેલ મુક્તિ અને બીજું હાલ ચાલી રહેલ પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજશ્રીની જન્મ શતાબ્દી ઉત્સવની ભક્તિસભર ઉજવણી.

મુકિતરથનું લોકાર્પ્ણ થશે

ધર્મજ ગામ માટે જરૂરી અદ્યતન “મુક્તિરથ” (શબવાહિની)નું લોકાપર્ણ થશે. જે ધર્મજ ગામના તમામ નાગરિકોને ઉપલબ્ધ બનશે. છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી અંદાજિત રૂપિયા સાડા સાત લાખના ખર્ચે મુક્તિરથ તૈયાર થયો છે. નાઈસોલ મેન્યુંફેક્ચરીંગ કંપની તથા અન્ય વતનપ્રેમી એન. આર. ડી. (નોન રેસિડેન્સ ધર્મજીયન) દાતાઓ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આમ સમગ્ર તૈયારીઓ સાથે છ ગામ પાટીદાર સમાજ ધર્મજના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ઉર્ફે ટીનુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ ધર્મજના સૌ કર્મઠ કાર્યકર ભાઈ-બહેનો કામે લાગ્યા છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Celebrations, Local 18

أحدث أقدم