અંકલેશ્વર24 મિનિટ પહેલા
- કૉપી લિંક

અંકલેશ્વર તાલુકામાં પોતાની સગીર પુત્રી પર વારંવાર ધાક ધમકી આપી છેલ્લાં એક વર્ષથી દુષ્કર્મ આચરતા નરાધમ પિતાને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પિતાને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. અંકલેશ્વરમાં વધુ એક સગીરા પોતાના પિતાની હેવાનિયતનો શિકાર બની છે. અંકલેશ્વર તાલુકામાં રહેતા નરાધમ પિતાએ પ્રથમ પત્નીની હયાતીમાં જ અન્ય એક મહિલાને પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યો હતો. ત્યારબાદ પતિનું ઘર છોડી પિયરમાં રહેતી પત્નીનું અવસાન થયું હતું. પ્રથમ પત્નીની એક પુત્રી અને બીજી પત્ની થકી એક પુત્ર અને બે પુત્રીનો તે પિતા બન્યો હતો. આ દરમિયાન બીજી પત્નીના અવસાન બાદ છેલ્લાં એક વર્ષથી ધાક ધમકી આપી વારંવાર પોતાની 14 વર્ષીય સગી પુત્રી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. દીકરી કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ તે નરાધમ આપતો હતો.

કલાકોમાં નરાધમને ઝડપી પાડ્યો
પિતાની હેવાનિયતથી ત્રાસી ગયેલી સગીરાએ આ અંગે પોતાના ભાઈને જાણ કરી હતી. જે બાદ બંનેએ પોતાની મામીને જાણ કરતા મામીએ સગીરાની મોટી બહેનને હકીકત જણાવી હતી. અંતે નરાધમ પિતા વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમ પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
