સુરત39 મિનિટ પહેલા
- કૉપી લિંક

અંગદાનનો પરિવારે નિર્ણય લેતા અન્યના જીવનમાં ઉજાસ પથરાયા હતા.
સુરતની ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે બે અંગદાન અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યાં હતાં. જેને કારણે ૧૦ વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે પ્રજાપતિ સમાજના બ્રેઈનડેડ જયેશ ઠાકોરભાઈ પ્રજાપતિ ઉ.વ 42ના પરિવારે જયેશભાઈના ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓ તેમજ લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ સતીષભાઈ ભોગીલાલ પટેલ ઉ.વ. 56ના પરિવારે સતીષભાઈના લિવર, કિડની, અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી 10 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. તો અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલથી રોડ માર્ગે સુરત એરપોર્ટ અને સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે હૈદરાબાદ સુધીનું 986 કિમીનું અંતર 200 મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જયપુર રાજસ્થાનની રહેવાસી 34 વર્ષીય મહિલામાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

પરિવારે ભારે હૈયે અંગદાનનો માનવતાવાદી નિર્ણય લીધો હતો.
પગ લપસી જતાં ગંભીર ઈજા થયેલી
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે મોટા કુંભારવાડ ખુટાઈ માતાના મંદીર પાસે માંડવી મુકામે રહેતો જયેશ માંડવીમાં હેવી વાહનનાં મેકેનીક તરીકે કાર્ય કરતો હતો. તાઃ 21 માર્ચના રોજ જયેશ તેના મિત્રો સાથે તા. સાગબારામાં આવેલ દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કર્યા બાદ જયેશ તેના મિત્રો સાથે મંદીર પાસે આવેલ ઝુંપડામાં જમવા માટે ગયો હતો. જયેશને લઘુશંકા લાગતાં તે ઝુંપડાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગયો હતો. ત્યાં અકસ્માતે પગ લપસી જતાં તે 10/12 ફૂટ નીચે પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયો હતો. તેની જાણ ત્યાંના કોઈ સ્થાનીક રહીશે તેના મિત્રોને કરતા, તેઓએ સ્થળ પર જઈ જોયું તો જયેશ નીચે પડેલો હતો. તેથી તેને તાત્કાલીક ડેડીયાપાડામાં આવેલ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને અંકલેશ્વરમાં આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો. જયપાલસિંહ ગોહીલની સારવાર હેઠળ દાખલ કર્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
પરિવારે અંગદાનનું મહત્વ સમજ્યું
બુધવાર તા.22 માર્ચના રોજ ડેપ્યુટી મેડીકલ સુપ્રીટેન્ડન્ટ ડો. આત્મી શેઠ, ફીઝીશયન ડો. પર્વ મોદી, ન્યૂરો સર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ, મેડીકલ ઓફીસર ડો.અભીજીતસિંહ ચૌહાણે જયેશભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.ડોનેટ લાઈફ ભરૂચના ટીમ મેમ્બર સંજયભાઈ તલાટી અને જયેશના માસીના દિકરા દર્શનભાઈએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી જયેશના બ્રેઇનડેડ અંગેની અને તેમના પરિવારે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેની જાણકારી આપી.ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી જયેશના ભાઈ રમણભાઈ, કાકા બળવંતભાઈ, માસા રમેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને અંગદાનનું મહત્વ સમજાવ્યું.

અંગદાતાને હોસ્પિટલના સ્ટાફ સહિતનાએ સલામી આપી હતી
બીજા બનાવમાં યુવકને અકસ્માતમાં ગંભીર ઈજા થયેલી
બી-2,104 અક્ષરધામ કોમ્પલેક્ષ, છાપરાભાઠા રોડ અમરોલી મુકામે રહેતા અને કતારગામ જીઆઈડીસીમાં વણાટ ખાતામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સતીષભાઈ 21 માર્ચના રોજ બપોરે 1.30 કલાકે મોટરસાયકલ પર જમવા માટે ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ગજેરા સર્કલ જલારામ ખમણ પાસે અકસ્માતે મોટરસાયકલ સ્લીપ થઇ જતા, તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતાં. અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતાં. તેમને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડો. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
અંગદાનનો પરિવારે નિર્ણય લીધો
તા. 22 માર્ચના રોજ ન્યુરોસર્જન ડો. ભૌમિક ઠાકોર, ન્યુરોફિઝિશયન ડો. હિના ફળદુ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડો. મેહુલ પંચાલે સતીષભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યાં. કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલિફોનીક સંપર્ક કરી સતીષભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી ડો. મેહુલ પંચાલ સાથે રહી સતીષભાઈના પત્ની તરલીકાબેન, પુત્ર મોનાક, પૂત્રી ઉપાસના, જમાઈ મિલિંદ અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનની અંગદાનનું મહત્વ અને સમગ્ર પ્રક્રીયા સમજાવી. સતીષભાઈના પુત્ર મોનાક અને પુત્રી ઉપાસનાએ જણાવ્યું છે કે, મારા મામાને કિડનીની બિમારી હતી અને તેમનું ડાયાલીસીસ થતું હતું. ડાયાલીસીસની સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ડાયાલીસીસની પીડા અમે સારી રીતે સમજીએ છીએ. અમારા પપ્પા બ્રેઈનડેડ છે ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવા આપ આગળ વધો.

અંગદાતા અને પરિવારના નિર્ણયને તમામ લોકોએ બિરદાવ્યો હતો.
બન્ને વ્યક્તિના અંગદાન કરાયા
બંન્ને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો, SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ અને સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. કિડની અમદાવાદની હોસ્પિટલ અને બરોડાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ને ફાળવવામાં આવી.ગુજરાતમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને કારણે NOTTO દ્વારા ફેફસા હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.ફેફસાનું દાન હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલનાં ડો. મહેશ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ. અંકુર વાગડીયા અને તેમની ટીમે, બીજા લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પિટલનાં ડો. રવી મોહનકા અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન જી.સી.નાહર રોટરી આઈ બેંક સંચાલીત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલનાં ડો.અંજનાબેન ચૌહાણ અને કિરણ હોસ્પિટલના ડો.સંકિત શાહે સ્વીકાર્યું.
હૈદરાબાદ ફેફસા મોકલાયા
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલથી હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલ સુધીનું 965 કિલોમીટરનું અંતર 200 મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં જયપુર, રાજસ્થાનની રહેવાસી, ઉ.વ. 34 વર્ષીય મહિલામાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.દાનમાં મેળવવામાં આવેલા બે લિવર માંથી એક લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં અમદાવાદની રહેવાસી ઉ.વ. ૬૪ વર્ષીય મહિલામાં, બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કેશોદ-જુનાગઢના રહેવાસી ઉ.વ. ૫૨ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ૪ કિડનીઓમાંથી બે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની હોસ્પીટલમાં, એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં કરવામાં આવશે. જ્યારે એક કિડની ખરાબ થઈ ગઈ હોવાને કારણે તેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું ન હતું.
ગ્રીન કોરીડોર કરાયો
ફેફસા સમયસર હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલ પહોચાડવા માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. લિવર અને કિડની સમયસર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જીલ્લા પોલીસ, બરોડા ગ્રામ્ય પોલીસ, અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ.જયેશભાઈ ઠાકોરભાઈ પ્રજાપતિ અને સ્વ. સતીશભાઈ ભોગીલાલ પટેલની ઉદાત ભાવના દેખાઈ હતી.