Monday, March 20, 2023

નવરાત્રીમાં પાવાગઢ મંદિર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે તે માટે રજૂઆત; ભીડ એકત્ર ન થાય તેવુ આયોજન જરૂરી | A proposal to keep the Pavagadh temple open till 12 midnight on Navratri; Planning is necessary to prevent crowd gathering | Times Of Ahmedabad

હાલોલએક કલાક પહેલા

શ્રીફળ મામલે આવેદન આપ્યું…
પાવાગઢ શક્તિપીઠ ઉપર શરૂ થતા ચૈત્રી નવરાત્રીને લઈને વિવિધ મુદ્દાઓ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મંદિર છોલેલું શ્રીફળ લઈ જવા અને વધેરવા તથા વેપારીઓને વેચવા ઉપર શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરતા પાવાગઢના વેપારીઓ અને હાલોલ વિશ્વ હિન્દુ પરિષદે હાલોલ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન આપી મંદિર ટ્રસ્ટ પોતાનો નિર્ણય બદલે તેવી માગ કરી છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ પણ છોલેલું શ્રીફળ મંદિરમાં વધેરવામાં આવતું નથી. જો ભક્તોને ત્રણ કિલોમીટર નીચે માચીમાં નારીયેળ ફોડવા દેવામાં આવે તો ભક્તોની આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો મહિમા જળવાશે નહીં. દરેક વેપારીએ ચૈત્રી નવરાત્રીને ધ્યાને રાખીને લાખો રૂપિયાના છોલેલા શ્રીફળ મંગાવ્યા છે. તો તમામ વેપારીઓને મંદિર ટ્રસ્ટના આ નિર્ણયથી આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે.

મંદિરના ટ્રસ્ટીઓએ લીધેલો મનસ્વી નિર્ણય તાત્કાલિક બદલે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત પગલાં ભરી ઉગ્ર આંદોલન કરશે. જેના જવાબદાર ટ્રસ્ટીઓ પોતે રહેશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના બજરંગદળ વિભાગ સંયોજકે જણાવ્યું હતું.

મોડા સુધી મંદિર ખુલ્લું રાખવા આવેદન…
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવાના સમયમાં ફેરફાર કરવા માટે આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વડોદરા દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

પાવાગઢ મહાકાળી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન દરરોજ લાખો માઈ ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. ત્યારે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓ માટે મંદિર વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવનાર છે. આ સમયમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત વડોદરા રાજપૂત કરણી સેના દ્વારા કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મહાકાળી મંદિરમાં નવરાત્રી દરમિયાન ભક્તો વાહનો લઈને, ચાલતા અને સંઘ અને રથ લઈને આવતા હોય છે. ભક્તોની આસ્થા અને શ્રદ્ધા માતાજીના દર્શન સાથે જોડાયેલી છે. ત્યારે સાંજે 8 વાગ્યા સુધી જ મંદિર ખુલ્લું રાખવાના નિર્ણયથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન બંધ થઈ જતા ડુંગર ઉપર અસુવિધાઓ વચ્ચે અટવાઈ જાય છે. વહેલા દર્શન કરવા ભારે ભીડ થતા ધક્કામુક્કી થતા મહિલાઓ અને બાળકો હેરાન પરેશાન થઈ જતા હોય છે.

છેલ્લા કેટલાક સમયથી કોરોના રોગ ફરીથી ગુજરાતમાં 170થી વધુ કેસ દૈનિક આવવા લાગ્યા છે. H3N2 જેવા વાઇરલ રોગોમાં બેફામ વધારો થયો છે. તેથી ભક્તોની લાખોની સંખ્યામાં ભીડ એકત્ર થવાથી રોગચાળો વધુ વકરે તેવી પરિસ્થિતિને કાબુમાં લેવા તેમજ દૂર દૂરથી ચાલતા પગપાળા આવતાં ભક્તોનાં સંઘોને રાત્રે ચાલવા અને મંદિરે પહોંચવામાં તકલીફ ન પડે અને ભીડ એક સ્થાને એકત્ર ન થાય અને ભક્તો કોઈ તકલીફ વિના માતાજીનાં આશીર્વાદ લઈને જાય તે માટે નવરાત્રી દરમિયાન પાવાગઢ કાલિકા મંદિરનાં દર્શનનો સમય સવારે 4 વાગ્યાથી રાત્રિનાં 12 વાગ્યા સુધી (20 કલાક) રાખવામાં આવે (દા.ત.ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં દર્શનનો સમય રાત્રિનાં 2 વાગ્યાથી રાત્રિનાં 12 વાગ્યા સુધી રાખવામાં આવે છે) જેથી અવ્યવસ્થા સર્જાય નહિ તેવી રજૂઆત કરાઈ છે.

રોપ વે પણ ચાલુ રાખવામાં આવે તેમજ દરેક પગથિયે સ્ટ્રીટ લાઇટ, પાણી તેમજ શૌચાલયની વ્યવસ્થા તેમજ એસટી દ્વારા માંચી સુધી બસો પણ ચાલુ રાખવામાં આવે તેમજ પોલીસ દ્વારા પણ દર્શન કરવા સુંદર આયોજન કરવામાં આવે જેથી લાખો ભક્તોને છૂટથી દર્શન થાય, પડાપડી ન થાય, વાયરલ ઇન્ફેક્શન, કોરોના જેવી મહામારી વધુ વકરે નહિ, તે હેતુથી પ્રજાહિતમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા વિનંતી સહ રજૂઆત સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. રોપ વે અને એસટી બસ સુવિધા પણ રાત્રે મોડે સુધી ચાલુ રાખવામાં આવે તે માટે સૂચન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: