નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક
નવસારીના જલાલપુર તાલુકામાં આવેલા કલ્થાણ ગામે નવગડા ફળિયામાં રહેતા 19 વર્ષીય દિવ્યેશ રમેશભાઈ હળપતિ કે જે રત્નકલાકારી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેણે ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.
નવસારી શાંતાદેવી વિસ્તારમાં રત્નકલાકારનું કામ કરતા દિવ્યેશ રમેશભાઈ હળપતિ એ પોતાના ઘરની છતની લોખડની એગલ સાથે નાયલોનની દોરી બાંધી આત્મહત્યા કરી હતી. જોકે, કયા કારણોસર જીવન ટૂંકાવ્યું છે તેને લઈને હજું સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ સમગ્ર મામલે જલાલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
છેલ્લા 15 દિવસથી નવસારી જિલ્લામાં 18 થી લઈને 20 વર્ષની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં આપઘાત કરવાના બનાવમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આજકાલ સહનશીલતાનો અભાવ જોવા મળ્યો હોય તેમ મનોવૈજ્ઞાનિક કારણ સામે આપ્યું છે.
ડિપ્રેશન, પ્રેમ સંબંધ, વ્યવસાયિક નિષ્ફળતા, હતાશા જેવા કારણોને લઈને યુવાનો મોટી સંખ્યામાં આપઘાત કરતા હોય તેવા આંકડા પરથી તારણ કાઢી શકાય છે. કલથાણ ગામના યુવાનના અપઘાત કેસમાં પિતાએ અકસ્માત અંગે ફરિયાદ આપી હતી. જલાલપુર પી.આઇ એન.એમ.આહીર આ કેસની તપાસ કરી રહ્યા છે.