રાજકોટ35 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સિયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ વિવિધ જિલ્લાઓમાં બનવા જઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં 14 જ્ઞાનસેતુ ડે સ્કૂલ બનશે. આ માટે ધો.6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. આ સ્કૂલમાં ધોરણ 12 સુધી ફ્રીમાં શિક્ષણ આપવાની સાથે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરાવવામાં આવશે.
વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અપાશે
આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસિડેન્સિયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરાવવામાં આવશે.
સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક
આ શાળાઓ તેમજ મોડેલ સ્કૂલમાં 2023-24ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા) લેવાનું આયોજન હાથ ધરાયું છે. આ તમામ શાળાઓ ધોરણ 6થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે.
મેરીટના આધારે ધો. 6માં પ્રવેશ અપાશે
રાજકોટ જિલ્લાને 14 જ્ઞાનસેતુ ડે સ્કૂલ મળનાર છે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ કર્યો હોય તથા ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
એન્ટ્રન્સ પરીક્ષા આપવા ક્યારે ફોર્મ ભરી શકાશે
ધોરણ 6 માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે ઓનલાઇન ફોર્મ 23 માર્ચ 2023થી 5 એપ્રિલ 2023 દરમિયાન ભરી શકાશે. તેમજ કોમન પ્રવેશ પરીક્ષા 27 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 11 તાલુકા દીઠ એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને શહેર કક્ષાએ 3 જ્ઞાનસેતુ ડે સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ધોરણ 6થી 12 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું.