રાજકોટએક કલાક પહેલા
સવાર, બપોર અને સાંજે મકીબેન વૃક્ષોને પાણી પીવડાવવામાં વ્યસ્ત રહે છે.
આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે, પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે જેના અનેક કારણો છે તેમાંનું એક કારણ છે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા. આપણને વૃક્ષોનો છાંયડો જોઈએ છે, ફળો જોઈએ છે, બધું જ જોઈએ છે પણ આપણે વૃક્ષો વાવવા નથી. વૃક્ષો વાવવાની વાત આવે ત્યારે યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા રાજકોટના 80 વર્ષના મકીબેન જુગાભાઈ ખાંડેખાને જરૂર યાદ કરવા પડે. તેઓએ 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે, એટલું જ નહીં જાતે ડંકીમાંથી પાણી સિંચી ડોલથી એક એક વૃક્ષને પાણી પાય તેનો ઉછેર અને જતન કરી રહ્યા છે
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 2000થી વધુ વૃક્ષનું જતન
રાજકોટના અટીકા વિસ્તાર કે જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. અહીં વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જ કઠિન હોય છે. આવા વિસ્તારમાં મકીબેને 2000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. ટાઢ હોય, તડકો હોય કે કોઈ પણ ઋતુ હોય પોતાની જાતે ડંકીમાંથી પાણી સીંચી ડોલ દ્વારા દરેક વૃક્ષને તેઓ સવાર, બપોર અને સાંજ પાણી પીવડાવે છે, તેમજ વૃક્ષની ફરતે સફાઈ કરે છે અને વૃક્ષોને જરૂરી ખાતર આપે છે.

ઉનાળાના આકરા તાપમાં પણ મકીબેન વૃક્ષોનું જતન કરે છે.
એક વૃક્ષને રોજ બેથી ત્રણ ડોલ પાણી જરૂર
મકીબેને જણાવ્યું હતું કે, હું રોજ ડંકીથી પાણી સિંચી પાણી પીવડાવું છું. આ ઉપરાંત જરૂર મુજબ યુરિયા ખાતર પણ આપું છું. રોજ બેથી ત્રણ ડોલ પાણી એક વૃક્ષને પીવડાવવું પડે છે. દિવસમાં ફ્રી થાવ એટલે બપોર હોય તોય ભલે પણ વિસામો ખાતી ખાતી સાંજ સુધી વૃક્ષોમાં પાણી રેડ્યા રાખું છું. હાલ તો ગરમી બહું છે. વૃક્ષોને ઉછેરવા બહુ મુશ્કેલ છે. પાણી ન પાઇએ તો સૂકાઇ જાય.

મકીબેનની ઉંમર 80 વર્ષ છે.
ગાયોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે
મકીબેને વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત ગાયોનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે, નાના ઝાડવા ઉછરતા હોય તો તેને ખાય જાય છે. વૃક્ષના રક્ષણ માટે પીંજરા પણ મૂક્યા છે. એક પણ ઝાડને ફેલ થવા દેતી નથી. મોટા વૃક્ષ હોય અને કોઈને નડતુ હોય તો તે કાપી નાખે છે પણ હું તેને ઉછેરીને ફરી બચાવી લઉં છું. વૃક્ષોના થડમાં ખીલી મારીએ એટલે ફળ આવે તેવું મારું માનવું છે.

રોજ એક વૃક્ષને બેથી ત્રણ ડોલ પાણી પાય છે.
ફળ ન આવે તો વૃક્ષમાં રોગ આવે છે
મકીબેને વધુમાં જણાવ્યું હતું કે, ફળ ન આવે તો વૃક્ષમાં રોગ આવે છે. ધતૂરો, બીજોરું, લીમડો, પીપળો સહિતના અનેક વૃક્ષો વાવ્યા છે. કોરોનાના સમયમાં જ્યારે ઓક્સિજનના ફાફા હતા એ સમયે આવા વૃક્ષોની કિંમત માણસને સમજાય હતી. માટે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

મકીબેને ઉછેરેલા ઘણા વૃક્ષો આજે મોટા થઈ ગયા છે.
વૃક્ષો વાવવા મકીબેનના જીવનનું અભિયાન
વૃક્ષનો વિકાસ થાય એ માટે દરેક પ્રયત્ન કરતા હોય છે. બીજી તરફ ઘટાદાર વૃક્ષો કાપી નાખવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. ત્યારે દરેક માણસે મકીબેનમાંથી પ્રેરણા લેવી જ રહી કે, વૃક્ષો વાવીને આપણે પણ આપણી સામાજિક ફરજ બજાવવી જોઈએ. આ અંગે જીતુભાઈએ જણાવ્યું કે બા છેલ્લા 40 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. વૃક્ષો વાવવા એ જ જાણે તેમના જીવનનું અભિયાન હોય તેમ સવાર, બપોર અને સાંજના સમયે તેઓ વૃક્ષની સેવામાં જ જોવા મળે છે.