પોરબંદર26 મિનિટ પહેલા
ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. જેટલા ધરતી પરના સંસાધનો અને જીવસૃષ્ટિની વિવિધતા છે એટલી વિવિધતા દરિયામાં પણ રહેલી છે. તેમાં પણ શાર્ક અને ડોલ્ફિન માછલીઓ દરિયાની શોભા વધારે છે. આ શાર્ક અને ડોલ્ફિનના શિકાર પર પ્રતિબંધ છે. ગુજરાતના માછીમારો શાર્ક અને ડોલ્ફિનને બચાવવાનું કામ કરે છે. પરંતુ તાજેતરમાં ગુજરાતના દરિયા કિનારે ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ પોરબંદર નજીકથી ઝડપાઈ તે ખતરાની ઘંટી સમાન છે. ત્યારે આજે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ડોલ્ફિનના શિકાર અને ઉદ્યોગોનો કેમિકલયુક્ત કચરો દરિયામાં ઠાલવવા અંગે સરકારનું ધ્યાન દોરી દરિયાઈ જીવસૃષ્ટિની સુરક્ષા અંગે માંગ કરી હતી.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો દરિયા કિનારો જીવસૃષ્ટિ અને સંસાધનોથી સમૃદ્ધ છે. આપણે ધરતી પરની જીવસૃષ્ટિ અને સંશાધનોને બચાવની કામગીરી કરીએ છીએ પરંતુ દરિયાની અંદરની જીવસૃષ્ટિ અને સંસાધનો અંગે જે કામગીરી થવી જોઈએ તે થતી નથી. ગુજરાતના દરિયા કિનારે મળી આવતી શાર્ક અને ડોલ્ફિન માછલીઓ દુર્લભ પ્રજાતિ ગણાય છે. આપણું નસીબ છે કે ગુજરાતના માછીમારો આ માછલીઓને મારવાનું કામ કરતા નથી. ક્યારેક ભુલથી આ માછલીઓ તેમની જાળમાં પકડાય તો આર્થિક નુકસાનના ભોગે પણ પોતાની જાળી કાપી નાખીને તેમને બચાવે છે. પરંતુ બહારથી આવી શિકારીઓ આપણા દરિયા કિનારામાં તેમનો શિકાર કરે તે દુર્ભાગ્યપુર્ણ છે. જેથી આવા તત્વોથી ડોલ્ફિન અને વ્હેલ શાર્કની સુરક્ષા માટે નક્કર કામગીરી થવી જોઈએ.
અર્જુન મોઢવાડિયા વધુમાં જણાવ્યું હતું કે, આગાઉ ગીરના જંગલમાં સિંહોના શિકારની ઘટનાઓ પણ સામે આવી હતી. ત્યારે સ્થાનિક માલધારીઓ સાથે સંકલન સાધી વન વિભાગ દ્વારા સુરક્ષા નેટવર્ક ઊભું કરવામાં આવ્યું અને સિંહોનો શિકાર કરતી ગેંગોને નાબુદ કરી. ત્યારે ડોલ્ફિન અને વ્હેલ શાર્કનો શિકાર અટકાવવા માછીમારો સાથે સંયોજન સાધી સુરક્ષા નેટવર્ક ઊભું કરવાની જરુર છે. અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, આપણે ત્યાં વન વિભાગ, ઈકોલોજી વિભાગ ધરતી પર આવા જે કંઈ બનાવો બને તેને રોકવા માટે કામ કરે છે. પરંતુ દરિયામાં આવી પ્રવૃત્તિઓને રોકવા 22 મરીન પોલીસ સ્ટેશન છે. તેઓ આ અંગે વન વિભાગને જાણ કરે છે અને આખી પ્રક્રિયા ખૂબ લંબાય છે. જેથી મરીન પોલીસ સ્ટેશનો ઉપર વન વિભાગના કર્મચારીઓ પણ મૂકવા જોઈએ અને તેમને મરીનની તાલીમ આપવી જોઈએ. આ માટે મરીન કોસ્ટલ સિક્યુરિટી ડિવીઝન હેઠળ આખી ચેન ઊભી કરી શકાય.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ઉદ્યોગોનો કેમિકલયુક્ત કચરો પાઈલાઈન મારફતે દરિયામાં ઠાલવવા માગે છે. આવા ઝેરી કેમિકલયુક્ત કચરાથી પણ ગુજરાતની દરિયાઈ જીવ સૃષ્ટિ અને સંસાધનોને ભારે નુકસાન થવાનો ખતરો ઊભો થયો છે. જેના કારણે ભવિષ્યમાં મત્સ્યઉદ્યોગ નાશ બને તેવો ખતરો રહેલ છે. જેના કારણે સરકારે દરિયામાં આવા કેમિકલયુક્ત કચરાને નાખવાનું ટાળવું જોઈએ. અર્જુન મોઢવાડિયાના પ્રશ્નોના જવાબમાં સરકાર તરફથી મુળૂ બેરાએ ખાતરી આપી છે કે સ્થાનિક માછીમારો સાથે સંકલનમાં રહીને એક નેટવર્ક ઊભું કરીને રેગ્યુલર રીતે પેટ્રોલીંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સરકાર વિચારણા કરી રહી છે.