- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- At The Gunabhankhari Village Of Poshina, A Folk Fair Was Held In The Presence Of Chitra Vichitra Mahadev At The Confluence Of The Akal Vyakal Sabarmati River With Triveni.
સાબરકાંઠા (હિંમતનગર)29 મિનિટ પહેલા
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુભાંખરીમાં આકળ-વ્યાકળ અને સાબરમતી નદીના ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો ચિત્ર-વિચિત્રનો લોકમેળો ભરાય છે. હોળીના તહેવાર પછી 15માં દિવસે અમાસના દિવસે શરુ થાય છે અને એકમના દિવસે પૂર્ણ થયા છે.બે દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરીકંદરામાં વસતા વનબાંધવો આ મેળામાં સહપરીવાર આવીને રુદન કરી પૂર્વજોને યાદ કર્યા બાદ અસ્થિ વિસર્જનની અંતિમ ક્રિયાઓ કરે છે.

દંતકથા મુજબ હસ્તિનાપુરના રાજા શાંતુના બે પુત્રો ચિત્ર અને વિચિત્ર વીર્ય હતા. આ બંને પુત્રોએ તેમની માતા ઉપર ખોટો વહેમ રાખી અપવિત્ર આચરણનો આક્ષેપો કર્યા હતા. પરંતુ પોતાની માતા ઉપર કરેલા ખોટા આક્ષેપની ભૂલ સમજાતાં બંને કુંવરોએ પ્રાયશ્ચિત કરવાનો નિર્ણય કર્યો હતો અને કુંવારી જમીન ઉપર જઈ પવિત્ર મનાતા પારસ પીપળાના ઝાડના થડના પોલાણમાં પ્રવેશી આગ સળગાવી હોમાઇ ગયા હતા.

આ મહાભારત કાળના પ્રાચીન સ્થળ એવા ગુણભાંખરી ગામે આદિજાતિ લોકોનો ભાતીગળ બે દિવસીય મેળો યોજાયો હતો. આકળ-વ્યાકળ અને સાબરમતીના ત્રિવેણી સંગમે પૈતૃકના અસ્થિ વિસર્જન કરી વહેલી સવારે નદીમાં માત્ર રુદનનો અવાજ સંભળાય છે જે લોકો સ્વજનોની યાદમાં હૈયાફાટ રૂદનથી આક્રંદ કરે છે. આ પ્રાચીન મેળામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આંતર રાજ્યો અને આસપાસના બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ સહિતના આદિજાતી લોકો મેળામાં આવે છે.

મેળામાં આવેલા રાજસ્થાનના બિંદુ મીણા જણાવે છે કે, આ ચિત્ર વિચિત્ર મેળો અમારા માટે પવિત્ર મેળો છે. બાપ દાદાના સમયથી અમે અમારા સ્વજનોની અસ્થિ આ નદીના ત્રિવેણી સંગમમાં પધરાવીને પવિત્ર કરીએ છીએ. પોશીના રામ કુકડીના મરજુભાઇ જણાવે છે કે, આ મેળામાં મૃત સ્વજનોને યાદ કરવાની સાથે યુવક યુવતીઓ પોતાના જીવનસાથીને આ મેળામાં પસંદ કરી પોતાના જીવનની શરૂઆત કરે છે.

