રાજકોટ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભૂસ્તરશાસ્ત્રી જગદીશસિંહ વાઢેર
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર નિર્માણ પામી રહેલા હીરાસર એરપોર્ટ ખાતે રોયલ્ટીનો વિવાદ સામે આવ્યો છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જગદીશસિંહ વાઢેરનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જગદીશસિંહ વાઢેરે જણાવ્યું છે કે, ‘મોરબીના કાંતિપુરમાં ખાણ ખનીજ વિભાગે મસમોટી ખનીજચોરી પકડી પાડી હતી.આ ખનીજચોરી દિલીપ બિલ્ડકોન નામની કંપની જ કરી રહી હતી. ત્યારે હવે જો હીરાસર એરપોર્ટ ખાતે કામ કરવા બદલ રોયલ્ટી નહી ચૂકવી હોય તો દંડ થશે’ નોંધનીય છે કે દિલીપ બિલ્ડકોન લીમીટેડ કંપનીને ખનીજ ચોરી માટે રૂ.1.03 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હવે વધુ કાર્યવાહીથી કંપનીની મુશ્કેલીમાં વધારો થશે.
દરખાસ્ત નામંજૂર કરાઈ હતી
વધુમાં ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હીરાસર એરપોર્ટનું નિર્માણ કાર્ય કરનારી દિલીપ બિલ્ડકોન નામની કંપની દ્વારા રોયલ્ટી એક્ઝેપ્શન માટે 2020માં દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત સરકાર દ્વારા જુલાઈ 2022માં નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા સંબંધિત વિભાગોને પત્ર લખી જાણ કરવામાં આવી છે.
મટીરીયલના બિલ પણ માંગવામાં આવ્યા
વધુમાં ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું કે,ખાણ ખનીજ વિભાગ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને પત્ર લખી સંબંધિત નિર્માણ કાર્યના ટેન્ડર પ્રક્રિયાના કાગળ પણ મંગાવવામાં આવ્યા છે. તો સાથે જ દિલીપ બિલ્ડકોન કંપની દ્વારા રોયલ્ટી ભરવામાં આવી છે કે કેમ તે અંગે પણ એરપોર્ટ ઓથોરિટી ને પૂછવામાં આવ્યું છે. જો કંપની દ્વારા સંબંધિત મટીરીયલ અંગે રોયલ્ટી ભરવામાં નહીં આવી હોય તો તેના વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત દંડ પણ ફટકારવામાં આવી શકે તેમ છે. હાલ સમગ્ર મામલે કંપની પાસેથી તેમને અન્ય લિસ્ટ ધારકો પાસેથી ખરીદ કરેલા મટીરીયલના બિલ પણ મંગાવવામાં આવ્યા છે.