જુનાગઢ28 મિનિટ પહેલા
કહેવાય છે કે, મે,(વરસાદ), મોત અને મોંઘાઈ ક્યારે આવે તે નક્કી નહીં, ત્યારે આવું જ હાલ થઈ રહ્યું છે. હવામાનની આગાહીને પગલે છેલ્લા છ-સાત દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો કહેર વરસ્યો છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જૂનાગઢમાં પણ અચાનક જ વરસાદ પડવાથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. સાબલપુર ચોકડી, ઝાંઝરડા ચોકડી ,દાણાપીઠ, કાળવા ચોક, સકક્રબાગ, સરદારબાગ સહિતમાં કમોસમી વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

જૂનાગઢના વંથલી, માણાવદર, કેશોદ, માળીયાહાટીના, વિસાવદર, ભેસાણ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં આજે બપોરના સમયે અચાનક જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી ખેડૂતોના તૈયાર થયેલો પાકમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

જિલ્લામાં આચનક જ વરસાદ આવતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આંબાના બગીચાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયાનું સામે આવી રહ્યું છે. આંબા પરની કેરીઓ ભારે પવન અને વરસાદના કારણે જમીનદોસ્ત થઈ છે. જેથી આંબાના લાખો રૂપિયા ખર્ચી બગીચા રાખનાર ઇજારેદારો એ પણ રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી માવઠાંને કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કેરી, ચણા, ધાણા, ઘઉં જેવા પાક તૈયાર થઇ ગયા છે, પંરતુ વરસાદના કારણે તેમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.







