2 મિનિટ પહેલા
- કૉપી લિંક

‘દરેક ચોરની અટક મોદી કેમ હોય છે’- આ નિવેદન બાદ રાહુલ ગાંધી સામે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. જેનો ચુકાદો પણ 23 માર્ચે આવી ગયો હતો. જેમાં સુરતની કોર્ટમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવીને 2 વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેમને જામીન પણ મળી ગયા હતા. ત્યારે રાહુલ ગાંધીની મુશ્કેલી વધારીને દિલ્હીથી ડાયમંડ નગરી સુરતમાં ધક્કા ખાવા મજબૂર કરનાર અને કેસ કરનાર પૂર્ણેશ મોદી ભાજપના ધારાસભ્ય છે. અગાઉ તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ રહી ચૂક્યાં છે. અડાજણમાં 13 વિધાનસભા (2013-17)ની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા પૂર્ણેશ મોદી હાલ દેશભરના રાજકીય વાતાવરણમાં ચર્ચોનો વિષય બન્યાં છે. કારણ કે તેમણે કરેલા કેસમાં ગાંધીને સજા કરાતા વાયનાડથી કોંગ્રેસના સાંસદની સદસ્યતા રદ કરી દેવાઈ છે.
પૂર્ણેશ મોદીએ LLB સુધીનો અભ્યાસ કર્યો છે
22 ઓક્ટોબર 1965માં પૂર્ણેશ મોદીનો સુરતમાં જન્મ થયો હતો. તેમના ધર્મપત્નીનું નામ બીનાબહેન છે. પૂર્ણેશ મોદીએ બીકોમ સાથે એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી તેઓ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. હાલ તેઓ સુરતની પશ્ચીમ વિધાનસભાના ધારાસભ્ય છે.
પેટા ચૂંટણીમાં પહેલી વખત જીત્યા
પૂર્ણેશ મોદી સુરતના અડાજણ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ પહેલીવાર ગુજરાતની તેરમી વિધાનસભા (2013-17)ની પેટા ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યાં હતાં. 2013માં તત્કાલિક ધારાસભ્ય કિશોરભાઈ વાંકાવાલાનું માંદગીના કારણે અવસાન થયું હતું. ત્યારબાદ પેટા ચૂંટણી થતાં ભાજપે પૂર્ણેશ મોદીને ટીકિટ આપી હતી. જેમાં પૂર્ણેશ મોદીની જંગી મતોથી જીત થઈ હતી.
2017માં ફરી ધારાસભ્ય બન્યા
વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપે પૂર્ણેશ મોદીને ઉમેદવાર બનાવ્યાં હતાં. આ ચૂંટણીમાં પૂર્ણેશ મોદીને 1 લાખ 11 હજાર 615 મત મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈકબાલ દાઉદ પટેલને 33 હજાર 733 મત મળ્યાં હતાં. આમ પૂર્ણેશભાઈએ ફરીથી તેમણે જીતનો ભગવો લહેરાવ્યો હતો. પશ્ચિમ વિધાનસભા ક્ષેત્ર મૂળ સુરતીઓના પ્રભાવ વાળી સીટ માનવામાં આવે છે. પૂર્ણેશ મોદી ગુજરાત સરકારની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સમિતિના સભ્ય તરીકે 12 ઓગસ્ટ 2016થી 25 ડિસેમ્બર 2017 સુધી સંસદીય સચિવ તરીકે કાર્ય કર્યું હતું.
પૂર્ણેશભાઈ મજબૂત સંગઠન ધરાવે છે
સુરત મહાનગરપાલિકામાં પૂર્ણેશભાઈ વર્ષ 2000થી 05 સુધી કોર્પોરેટર તરીકે રહી ચૂક્યાં છે. આ સમય દરમિયાન તેઓ પાલિકામાં ભાજપના શાસક પક્ષના નેતા તરીકે રહ્યાં હતાં. આ સિવાય વર્ષ 2009-12 તથા 2013-16 દરમિયાન સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે.
કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ 13 એપ્રીલ 2019માં નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતાં સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. બાદમાં કોર્ટમાં કેસ ચાલી જતાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.