વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

ગજવા એ હિન્દ મુસ્લિમ સંગઠનનું આતંકી ગતિવિધિઓમાં નામ આવવાના મામલે NIAની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે. રાજ્યના વલસાડ, સુરત અને બોટાદ જિલ્લામાં તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના વાપીના ગોદાલનગર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં તપાસ કરી હતી. તપાસમાં NIAની ટીમે ફ્લેટમાં રહેતા પરિવારના સભ્યોની પૂછપરછ કરી તપાસ કરી હતી.
2022માં દિલ્હીમાં કેસ દાખલ થયો હતો
વર્ષ 2022માં ગજવા એ હિંદ આતંકી ગતિવિધિઓ મામલે દિલ્હીમાં કેસ દાખલ થયો હતો. એ કેસ મામલે વલસાડ જિલ્લાના વાપી અને સુરતમાં આવેલા એક વિસ્તારમાં રહેતા શકમંદ પરિવારની તપાસ હાથ ધરી હતી. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઇ.

વાપીમાં 2 વ્યક્તિઓની પૂછપરછ
NIAની ટીમે વાપીથી 2 વ્યક્તિઓની અટકાયત પણ કરી હોવાની સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. વલસાડના વાપી વિસ્તારમાં ગોદાલનગરમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા મુસ્લિમ પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. NIAની ટીમે છાપો માર્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સુરતમાં યુવકની પૂછપરછ કરી
મહંમદ સોહેલ નામના યુવકની ગજવા એ હિન્દ સંગઠન સાથે સંપર્ક હોવાનું જણાઇ આવતા સુરતમાં NIAની ટીમ દ્વારા સુરતમાં મહંમદ સોહેલની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટીગેશન એજન્સીને શંકા છે કે મહંમદ સોહેલ દેશવિરોધી ગતિવિધિઓમાં જોડાયેલો છે. મહંમદ સોહેલ સુરતના મુગલીસરા વિસ્તારનો રહેવાસી છે.
અગાઉ પણ અન્ય યુવાનોની પૂછપરછ થઈ ચૂકી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ કેટલાક યુવકોની તપાસ કરી હતી. યુવકો સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો અન્ય કોઈ રીતે આવા આતંકી સંગઠનનો સાથે સંપર્ક કરતા હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયામાં તેઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરવા માટે પણ પોસ્ટ કરતા હોય છે આવી તમામ બાબતો ઉપર એનઆઇએ ખૂબ જ ઝીણવટ ભરીને જ રાખતી હોય છે. સુરતના મુગલીસરા વિસ્તારમાં રહેતા મહમદ સોહેલની તેમણે કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ દિલ્હી રવાના થઈ ગયા હતા. જોકે મહંમદ સોહીલની માત્ર પુષ્પ જ કરવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી નથી.
બોટાદમાં પણ તપાસ કરી
દિલ્હીમાં 2022ના વર્ષ દરમિયાન ‘ગજવા એ હિન્દ’ આંતકી પ્રવૃત્તિ હેઠળ ગુજરાત રાજ્યમાં આજરોજ અલગ અલગ પાંચ ટીમો તેમજ નાગપુર અને ગ્વાલિયરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા એક વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવાને આ આંતકી પ્રવૃત્તિ હેઠળના શંકાના દાયરા વચ્ચે તેના ઘરેથી વહેલી સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો અને ત્યારબાદ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે તેની અલગ અલગ પ્રકારની તપાસ અર્થે યુવાનની હાલ પૂછપરછ શરૂ છે.