- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- Principal Secretary Ashwini Kumar Visited Madhavpur In Person, Various Cultural Programs Including Rath Yatra And Rukshmaniji’s Samaiyan Will Be Held.
પોરબંદર19 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ પ્રસંગે યોજાતો પરંપરાગત માધવપુરનો મેળો એટલે ભારતના ઉત્તર પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો અનુબંધ. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023નો માધવપુરનો મેળો વિશેષ આયોજન સાથે યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા માધવપુર ઘેડના મેળામાં ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર વિવિધ કાર્યક્રમ યોજવાના છે.

અગ્ર સચિવ અશ્વિની કુમારે આજે માધવપુર ઘેડની રૂબરૂ મુલાકાત લીધી હતી. યુવા સેવા કમિશનર બી.જી.પ્રજાપતિ, કલેક્ટર અશોક શર્મા, પોલીસ અધિક્ષક રવિ સૈની, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રેખાબા સરવૈયા, અધિક કલેક્ટર એમ.કે.જોશી અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી આયોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મેળા ગ્રાઉન્ડની મુલાકાત લઈ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના જ્યાં લગ્ન થયા હતા તે ચોરી માયરા સ્થળની મુલાકાત લઈ 12મી સદીના પૌરાણિક વિષ્ણુ મંદિર નિહાળી માધવરાયજીના મંદિરના દર્શન કર્યા હતા. અગ્ર સચિવે ગામના સરપંચ, મંદિરના ટ્રસ્ટી જનક પુરોહિત સાથે પણ ચર્ચા કરી હતી. કલેક્ટર અશોક શર્માએ જિલ્લા પ્રશાસન દ્વારા મેળાને લઈને ટીમ વર્કથી કરવામાં આવી રહેલી કામગીરીનું સંકલન તેમજ થયેલ સમિતિઓની રચના, પાર્કિંગ પરિવહન વ્યવસ્થા સહિતની કામગીરીની વિગતો આપી હતી.

આગામી 30 માર્ચથી 3 એપ્રિલ સુધી યોજાનાર માધવપુરના ઘેડના મેળામાં રાજ્ય સરકારના વિવિધ આયોજન મુજબ તૈયારીઓ થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લોક સુવિધા મળી રહે તથા વિશેષ કરીને આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન બાદ ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણી માતા સાથે દ્વારકા આવ્યા હતા એ કથા પ્રસંગની ગરીમા ઉજાગર થાય તેવા વિશેષ પ્રયાસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે રથયાત્રા અને રૂક્ષ્મણીજીનું સામૈયું સહિતના કાર્યક્રમો થવાના છે. ત્યારે માધવપુરના મધુવનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન બાદ 3 માર્ચના રોજ બાદ સવારે માધવરાયજીના મંદિરે પરણીને જાન જાય ત્યારે તેની સાથે સાથે માધવપુરથી એક રથ દ્વારકા જવા ગામની બહાર નીકળશે. વાજતે ગાજતે માધવપુરના ગ્રામજનો મેળામાં આવેલા લોકો દ્વારકાધીશના દર્શન કરશે બાદમાં દ્વારકામાં સ્વાગતનો વિશેષ કાર્યક્રમ રથયાત્રા રૂપે યોજવામાં આવશે.
