રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

આરોપી યોગેશ કુબાવત
રાજકોટમાં પતિનો ધંધો ચાલતો ન હોવાથી કાકા યોગેશ કુબાવતે કૌટુંબિક ભત્રીજીને કાળભૈરવનો કોપ હોવાનું કહી બે વખત દુષ્કર્મ આચર્યું હતું. પીડિતા બે સંતાનની માતા હોવા છતાં નરાધમ કાકો પતિને ધંધામાં બરકત ન આવવાનું ખોટું કારણ બતાવી પોતાના જ ઘરે પોતાની પત્નીની હાજરીમાં ભત્રીજી પર દુષ્કર્મ ગુજારતો હતો. બાદમાં ભત્રીજીએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસ આજે સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી કાકાને આજીવન કેદની સજા ફટકારી છે.
પીડિતાનો પતિ ફોરવ્હિલનો ધંધો કરતો
ભોગ બનનારના લગ્ન વર્ષ 2011માં થયા હતા. ત્યારબાદ તેમના પતિને ફોરવ્હીલ ગાડીનો ધંધો હતો, જેમાં ઘણા લાંબા સમય સુધી કોઈ નફો થતો ન હતો. આ કારણે આરોપી યોગેશે પોતાના કૌટુંબિક સંબંધોનો લાભ લઈ ભોગ બનનાર કૌટુંબિક ભત્રીજીને સમજાવી, ફોસલાવી અને ભરમાવી હતી. યોગેશે જણાવ્યું હતું કે, તેના ઉપર કાળ ભૈરવનો કોપ છે.
હું કાળભૈરવવતી તારી સાથે શરીર સંબંધ બાંધીશ
યોગેશે ભોગ બનનારને કહ્યું હતું કે, કાળભૈરવ સાથે સહશયન કરવું પડશે નહીં તો હજુ વધુ મુશ્કેલીઓ પડશે. ભોગ બનનારે પોતાના પતિના ધંધામાં બરકત માટે આરોપીને પૂછ્યું હતું કે, કાળ ભૈરવ કોણ છે, ત્યારે યોગેશે જણાવ્યું કે, કાળભૈરવ તને મળી શકે નહીં. પરંતુ હું કાળભૈરવવતી તારી સાથે શરીર સંબંધ બાંધીશ.
આરોપીની પત્નીએ પતિને દુષ્કર્મમાં મદદ કરી
યોગેશે ભોગ બનનારને વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની પણ કાળભૈરવ સાથે સંબંધ રાખે છે. આવા સંબંધોની રૂએ યોગેશની પત્નીએ પણ પોતાના નગ્ન ફોટાઓ ભોગ બનનારને બતાવ્યા હતા. ભોગ બનનાર આવી બાબતોથી ભરમાઈ ગઈ હતી અને યોગેશ સાથે સહશયન કરવા સહમત થઈ હતી. આ રીતે બે વખત શરીર સબંધ બાંધ્યો હોવા છતાં ભોગ બનનારના પતિને કોઈ જ ફાયદો જણાતો ન હતો.
આરોપીએ ઊલ્ટાનો પીડિતા વિરૂદ્ધ ખોટો કેસ કર્યો
આથી ભોગ બનનારે પોતાના પતિને યોગેશે કરેલા કૃત્યો અંગે જાણ કરી હતી. આથી પોલીસમાં ભોગ બનનારે ફરિયાદ કરતા ગુનાની તપાસના અંતે યોગેશ અને તેની પત્ની વિરૂદ્ધ બળાત્કારના ગુનાની ચાર્જશીટ રજૂ થઈ હતી. આ કેસ ચાલી જતા આરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, જૂના ઝઘડાનો ખાર રાખીને મારી સામે ભોગ બનનારે ખોટો કેસ કર્યો છે.
કોર્ટે યોગશને આજીવન કેદની સજા ફટકારી
સરકાર તરફે દલિલો કરતા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે, ભોગ બનનારના મોબાઈલમાં આરોપીના પત્નીના મોબાઈલમાં નગ્ન ફોટા મોકલાવ્યા હોવાનું તેમજ આરોપી ભોગ બનનારનો કૌટુંબિક કાકો થતો હોય ભોગ બનનારને ખોટી ફરિયાદ કરે તે ભારતીય સંસ્કૃતિની સ્ત્રીના સંસ્કાર વિરુદ્ધની વાત છે જે માની શકાય નહીં. ભોગ બનનાર બે સંતાનની માતા હોવા છતાં ખોટી ફરિયાદ કરે તે પણ કાયદાથી વિરૂદ્ધનું અનુમાન કહેવાય, જે અનુમાન કરી શકાય નહીં. આ તમામ રજુઆતોના અંતે અધિક સેશન્સ ન્યાયાધીશ સુથારે આરોપી યોગેશ કુબાવતને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની આજીવન સજા તથા રૂપિયા 5 હજારનો દંડ ફરમાવ્યો છે.