દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા
- કૉપી લિંક

રહેણાંક મકાનમાં ચોરી કરનાર શખ્સને દબોચી પાડ્યો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી બેલાવાડી ખાતે રહેતા અને કડિયાકામ કરતા મેઘજી કણજારીયા નામના 45 વર્ષના દલવાડી યુવાન ગત તારીખ 21 મીના રોજ સાંજના સમયે પોતાના પરિવારજનો સાથે એક લગ્ન પ્રસંગમાં ગયા બાદ ગઈકાલે બુધવારે તેઓ પરત ફરતા તેમના ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું. આ મકાનના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા 35,000ની રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનું ધ્યાન આવ્યું હતું.

મેઘજી કણજારીયાએ ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તાકીદની કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના ખીમાભાઈ કરમુર તથા હેમતભાઈ નંદાણીયા અને યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અને મૂળ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના રહીશ સુખા ઉર્ફે સુખો પરબત વાઘેલા નામના 25 વર્ષના શખ્સની અટકાયત કરી, તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

પોલીસ પર જીવલેણ હુમલો કરનાર સાત સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ફરજ પર રહેલા પોલીસ કર્મીએ એક યુવાનને ટપારતા આનાથી ઉશ્કેરાયેલા સાત શખ્સોએ મધરાત્રિના સમયે ફરજ પુરી કરીને જઈ રહેલા આ પોલીસ કર્મચારીને માર્ગમાં અટકાવી, છરી બતાવી, પંચ વડે બેફામ મારીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસ મથકમાં પાંચ અજાણ્યા સહિત સાત શખ્સો સામે હત્યાના પ્રયાસ તથા રાયોટીંગની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ, ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા અને મીઠાપુર પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ મથર (ઉ.વ. 28) ને મીઠાપુર નજીક આવેલા વરવાળા ગામે યોજાયેલા ઉર્સના મેળામાં બંદોબસ્તની ફરજ સોંપવામાં આવી હતી. આથી તેઓ મંગળવારે સાંજથી ફરજ પર હતા. તે દરમિયાન રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે અહીં રહેલી ભીડભાડમાં લાઈનની વ્યવસ્થા કરવાની કામગીરી દરમિયાન એક છોકરો અડચણ ઊભી કરતો હોવાથી તેને પોલીસ કર્મી પ્રવીણભાઈએ અવ્યવસ્થા ઊભી ન કરવા જણાવ્યું હતું. આથી આ છોકરાએ પ્રવીણભાઈને કહેલ કે “તું મને ઓળખે છે? હું મેવાસા ગામના પાલાભાઈ માણેકનો દીકરો છું. હું તને જોઈ લઈશ”- તેમ કહ્યા બાદ સાથે રહેલા કેટલાક શખ્સોએ કોઈને ફોન કર્યા હતા.
આ પછી રાત્રિના ત્રણેક વાગ્યાના સમયે પોલીસ કર્મી પ્રવીણભાઈએ પોતાના પોલીસના યુનિફોર્મ સાથે તેમના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે ત્રણેક વાગ્યાના સમયે મીઠાપુરથી આશરે નવ કિલોમીટર દૂર મોજપ ગામથી ભીમરાણા ગામ વચ્ચે પહોંચતા માર્ગ આગળ બે મોટરસાયકલ પર બેઠેલા શખ્સો દ્વારા તેમનો પીછો કરવામાં આવતો હતો અને થોડી દૂર તેમની મોટરસાયકલને લાત મારી, તેમને પછાડી દીધા બાદ જુદી જુદી મોટરસાયકલમાં આવેલા શખ્સો પૈકી દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા પાલાભા માણેકે તેમને કહેલ કે “મારા દીકરાને વરવાળા ઉર્સના મેળામાં લાઈનમાં ચાલવાનું કહેલ. તને આજે પતાવી દેવો છે. અમે બધા તૈયારી કરીને આવ્યા છીએ.”- કેમ કહેતા અન્ય ત્રીજી મોટરસાયકલમાં આવેલા બે શખ્સો મળી આરોપી વાલાભાઈ માણેક તેમજ દ્વારકામાં રહેતા સાવજાભા સુમણીયા ઉપરાંત અન્ય પાંચ શખ્સોએ એકસંપ કરી, આરોપી પાલાભાએ હાથમાં પહેરેલા પંચ (બોથડ પદાર્થ) વડે બેફામ માર મારી બીજા હાથમાં રહેલી છરી બતાવી અને કહેલ કે “આજે તો તને મારી જ નાખવો છે. તો હું જીવતો રહે તો ફરિયાદ કરે ને?”
આરોપી શખ્સો દ્વારા પોલીસ કર્મીને પછાડી દઈ, બેફામ માર મારી, બોથડ પદાર્થ વડે હુમલો કરી કરતાં અર્ધ બેભાન થઈ ગયેલા પોલીસ કર્મી પ્રવીણ મથરને આસપાસના રહીશોએ મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમને નાકમાં ફ્રેક્ચરની સારવાર બાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, ઉર્સના મેળામાં બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મીને ખાર રાખી, મારી નાખવાના ઈરાદાથી જીવલેણ હુમલો કરવા સબબ મેવાસા ગામના પાલાભા માણેક તથા દ્વારકાના સાવજાભા સુમણીયા ઉપરાંત અન્ય પાંચ શખ્સો સામે મીઠાપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 307, 120 (બી), 143, 147, 148, 149, 323, 325, 333, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવે ઓખા મંડળ સાથે પોલીસ બેડામાં પણ ભારે ચકચાર પ્રસરાવી છે.
પૂરપાટ જતી ખાનગી બસની અડફેટે બાઈક ચાલકનું મૃત્યુ…
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસેના માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે આ માર્ગ પરથી જઈ રહેલા મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ જીવલેણ ટક્કરમાં મોટરસાયકલ પર જઈ રહેલા મૂળ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામના મૂળ રહીશ એવા ભાવેશ માચ્છી નામના 39 વર્ષના યુવાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે અવિનાશ માચ્છી (ઉ.વ. 43, રહે વલસાડ)ની ફરિયાદ પરથી ખાનગી બસના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337 338, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.