સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરત-ઓલપાડ વચ્ચે સિટી બસ શરૂ.
સુરત ઓલપાડ વચ્ચે 32 કરોડના ખર્ચે બનેલો સારોલી રેલ્વે ઓવર બ્રિજનું ગત રોજ લોકાર્પણ કર્યા બાદ આજથી સિટી બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. આઠ મહિના પહેલાં બ્રિજની એક સાઈડમાં ભંગાણ સર્જાયું હતું. જેથી સીટી બસ સેવા બંધ કરી દેવામા આવી હતી. સિટી બસ સેવા શરૂ થવાના કારણે મુસાફરોને રાહત થઈ છે.
8 મહિના પહેલા સિટી બંધ કરાઈ હતી
સુરત ઓલપાડ વચ્ચે 1990માં બનેલો સરોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો હિસ્સો 18 ઓગસ્ટના રોજ બેસી જતાં તે દિવસથી સિટી બસનો ઓલપાડથી સુરતનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓલપાડ-સુરત વચ્ચે દોડતી સિટી બસ લોકોની અવર જવર માટે આર્શીવાદ રૂપ હતી. જોકે, બ્રિજ બેસી ગયાં બાદ વાયા જોથાણનો રૂટ શરૂ થતાં સિટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સારોલી બ્રિજના લોકાર્પણ બાદ સિટી બસ શરૂ
બ્રિજ બેસી ગયાના આઠ મહિના બાદ પાલિકાએ નવો બનાવેલો 3 લેનનો બ્રિજ ગત રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરી સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આજે ઓલપાડ-સુરત રૂટની સિટી બસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી ઓલપાડ-સુરત વચ્ચે અપડાઉન કરતા લોકો માટે મોટી રાહત થઈ છે.
સિટી બસ શરૂ થતાં મુસાફરોને રાહત
સિટી બસ સેવા બંધ હોવાના કારણે વધુ મુસાફરો ભરીને રિક્ષાચાલકો ચલાવતા હતા. મુસાફરો પાસે કોઈ વિકલ્પ ન હોવાથી રિક્ષાચાલકો વધુ ભાડું પડાવતા હતા. મુસાફરો મજબુર હોવાથી આવી રીતે મુસાફરી કરતા હતા પરંતુ હવે ફરીથી સિટી બસ સેવા શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે.