રાજકોટ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના અમરાપુર ગામે રહેતાં નિમુબેન રસિકભાઇ સદાદીયા (ઉ.વ.48)એ ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવ્યા બાદ તબિયત બગડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં પરંતુ અહિ મોત નિપજ્યુ હતું. નિમુબેનના પરિવારજનોના જણાવ્યા મુજબ ગત 12 મીએ જસદણની હોસ્પિટલમાં ઓપરેશન કરાવાયુ હતું. એ પછી રજા અપાઇ હતી અને ગઇકાલે એકાએક તાવ ચડયો હતો. તેમજ બ્લિડિંગ ચાલુ થઇ જતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતાં. અહિ મોત નિપજતાં તબિબે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાનું જણાવ્યું હતું અને પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ રસિકભાઇ ખેતી કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
માનસિક અસ્થિર મહિલાએ ઝેરી દવા પીધી
રાજકોટ મોરબી રોડ પર ગવરીદળમાં આઇઓસી સામે ઝૂપડામાં રહેતાં ભાવનાબેન કાળુભાઇ જખાણીયા (ઉ.વ.35) નામના મહિલાએ ગઇકાલે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર ભાવનાબેનના પતિ કાળુભાઇ લાકડા કાપવાની મજુરી કરે છે. તેણીને સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. આ પાંચ સંતાન મા વિહોણા થઇ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્થિરતા ભોગવતા હતા. અમે દવા પણ કરાવી હતી. જો કે ગઇકાલે અમે બધા મજૂરીએ હતાં ત્યારે તેણીએ દવા પી લીધી હતી. અમે 108 બોલાવી હોસ્પિટલે ખસેડયા હતાં. પણ જીવ બચ્યો નહોતો. બનાવ અંગે કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બેકાબુ કારે રીક્ષાને અડફેટે લેતા મુસાફર ઘાયલ
રાજકોટ ગોંડલ રોડ પર પરીન ફર્નીચરની પાછળ મહંમદીબાગ શેરી નં. 11 માં રહેતા નૌશાદભાઇ આલમભાઇ ભાયાણી (ઉ.વ.50) છ દિવસ પહેલા પોતાની જીજે.23.એ.યુ.6209 નંબરની રીક્ષા લઇને શાપર વેરાવળ ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે શાપર-વેરાવળમાં સર્વિસ રોડ પર પરફેકટ વે-બ્રીજ પાસે જીજે.03.એચએ.4438 નંબરની કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવી રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા ચાલક નૌશાદભાઇને માથા તથા શરીરે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ચાલક કાર રેઢી મુકીને નાશી ગયો હતો. બાદ નૌશાદભાઇને સારવાર માટે 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે શાપર-વેરાવળ પોલીસ મથકના સ્ટાફે કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.