અમદાવાદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યના પૂર્વમંત્રી જસા બારડનાં ટ્રસ્ટ બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથનાં સુત્રાપાડામાં રમત-ગમતનાં મેદાનની જમીન ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બનાવી દેવાની બાબતમાં જસા બારડ સામે ભ્રષ્ટાચાર અંગેની જાહેર હિતની અરજી થઈ હતી. જેમાં આજની સુનવણીમાં હાઇકોર્ટે કોમ્પ્લેક્ષને સીલ રાખવાનો વચગાળાનો સ્ટે યથાવત રાખ્યો હતો.
રમત-ગમત માટે ફાળવેલ મેદાન પર કોમ્પલેક્ષ બનાવ્યો
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં રાજ્યનાં પૂર્વ મંત્રી જસા બારડ દ્વારા બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત સરકારે ટ્રસ્ટને રમત-ગમતનું મેદાન ફાળવ્યુ હતું. જો કે, આ મેદાન પર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ઉભુ કરી દેવાતા એક જાગૃત નાગરિક તરીકે ચેતન બારડે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટના આદેશ બાદ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું હતું. જેની સામે બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટને સ્ટે હટાવવા રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆત હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી નહોતી.
જિલ્લા કલેકટરે ટ્રસ્ટને નોટિસ પાઠવી
ગુજરાત હાઈકોર્ટે કોમ્પ્લેક્સ સીલ રાખવાનો વચગાળાનો સ્ટે યથાવત રાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ સંદર્ભે ગીર-સોમનાથ જિલ્લા કલેકટરને ફરિયાદ કરાતા ટ્રસ્ટને નોટિસ પાઠવવામાં આવી હતી. અહીં ગેરકાયદેસર ઉભી થયેલી 45 દુકાનનાં દુકાનદારો પર ખોટા દસ્તાવેજ અને ભાડા-કરારને લઈને પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ મુદ્દે વધુ સુનાવણી 24 એપ્રિલે હાથ ધરવામાં આવશે.