3 વર્ષની માસૂમ દીકરીના જન્મદિને જ પિતા બ્રેઈનડેડ, ભારે હૈયે પરિવારે આંતરડાં, લીવર અને બે કિડનીનું અંગદાન કર્યું | Braindead, overweight family donates intestines, liver and two kidneys to innocent 3-year-old daughter on birthday | Times Of Ahmedabad

સુરત9 કલાક પહેલા

  • કૉપી લિંક

મૂળ તેલંગાણાના વતની અને સુરતના ગોડાદરામાં રહેતા ચિત્તયલ પરિવારે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે, પરિવારની 3 વર્ષની માસૂમ દીકરીનો જન્મદિન તેના પિતાનો મૃત્યુદિન બનશે. આ પરિવારના 32 વર્ષીય ભરતભાઈને માથાનો અસહ્ય દુખાવો ઊપડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બ્રેઈનડેડ જાહેર થતા ચિત્તયલ પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. શોકાતુર પરિવારે બ્રેઈનડેડ યુવકનાં આંતરડાં, લીવર અને બે કિડનીનું અંગદાન કરી માનવતાની મિસાલ પૂરી પાડી છે. ખાસ કરીને સુરત શહેરથી આ સૌ પ્રથમ આંતરડાનું દાન થયું છે. આંતરડાં મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ભરતભાઈનાં ચાર અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સાથે નવી સિવિલમાં 21મું સફળ અંગદાન થયું છે.

યુવક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો
સુરતના ગોડાદરાની શંકરનગર સોસાયટીમાં રહેતા (મૂળ: હૈદરાબાદ, તેલંગાણા) ભરતભાઈ સત્યનારાયણજી સુરતની ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરીને પરિવારનું પાલનપોષણ કરતા હતા. ગત તા.10મીના રોજ અચાનક માથામાં અસહ્ય દુખાવો ઊપડતા બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. જેથી પરિવારે તાત્કાલિક સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં આઈસીયુમાં ન્યુરો ફિઝિશિયન ડૉ. જય પટેલે સારવાર શરૂ કરી હતી. બે દિવસની સારવાર દરમિયાન તેમના સ્વસ્થ થવાની કોઈ શક્યતા ન હોવાથી તા.12મીના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમનાં મહામૂલાં અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમનાં પરિવારજનોને ડૉ. નિલેશ કાછડિયાએ અંગદાન અંગેની સમજ આપી હતી.

ડૉ. નિલેશ કાછડિયાએ અંગદાન અંગેની પરિવારજનોને સમજણ પૂરી પાડી

ડૉ. નિલેશ કાછડિયાએ અંગદાન અંગેની પરિવારજનોને સમજણ પૂરી પાડી

અંગદાન માટે પરિવારે સંમતિ આપી
પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને અને ન્યૂઝ ચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારા સ્વજન આ દુનિયામાં નથી રહ્યા પણ અંગદાન કરવાથી તેઓ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? અન્ય જરૂરિયાતમંદ પરિવારનાં બાળકો પિતાની છત્રછાયા ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરીને અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.

અંગદાન માટે પરિવારે સંમતિ આપી

અંગદાન માટે પરિવારે સંમતિ આપી

દીકરીના જન્મદિનની ઉજવણી કરે એ પહેલાં પિતાએ અંતિમ વિદાય લીધી
ભરતભાઈને સંતાનમાં એક પાંચ વર્ષની ઉન્નતિ અને ત્રણ વર્ષની સાનવી એમ બે દીકરીઓ છે. પિતા સત્યનારાયણ મજૂરી કામ જ્યારે માતા શકુંતલાબેન અને પત્ની અમિતાબેન ગુહિણી છે. ગત તા.12મી એપ્રિલે ત્રણ વર્ષની સાનવીનો જન્મદિન હતો પણ જન્મદિનની ઉજવણી કરે એ પહેલાં પિતા ભરતભાઈએ પરિવારની અંતિમ વિદાય લીધી ત્યારે દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યાં

બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યાં

આંતરડા મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ
આજ રોજ અમદાવાદની IKDRC-ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યાં હતાં તેમજ આંતરડાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લઈ જવામાં આવ્યાં હતાં. સુરત પોલીસે અંગો લઈ જવા ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post