ગાંધીનગર24 મિનિટ પહેલા
- કૉપી લિંક

માણસાના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં 45 લાખની કિંમતનું 700 થી 800 ગ્રામ સોનાનું વરખ સગેવગે કરવાના પ્રકરણમાં પકડાયેલા બન્ને ટ્રસ્ટીઓએ માણેકચોકનાં સોનીને સોનાના વરખ વેચી મારી રૂપિયા લઈ લીધા હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે આજે પોલીસે બંનેને સાથે રાખીને મંદિર ખાતે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરના માણસામાં આવેલા રાજ્યના સુપ્રસિદ્ધ મહુડી મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. મંદિરના ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતા દ્વારા ભંડારામાંથી રોકડની ઉચાપત ઉપરાંત ભગવાનને ચઢાવવામાં આવતાં સોનાના વરખની ચોરી કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.
મંદિર ટ્રસ્ટના આઠ ટ્રસ્ટીઓ પૈકી ભૂપેન્દ્રભાઈ વોરાની ફરિયાદના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાએ બંને ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનીલ મહેતાની ધરપકડ કરી 11 મી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. બંને ટ્રસ્ટીઓએ ભગવાનના સોનાના વરખ રાખેલી ડોલમાંથી અંદાજીત 45 લાખની કિંમતનું વરખ સગેવગે કરી દેવામાં આવ્યું હતું.
ત્યારે ધન તેરસનાં દિવસે વર્ષોની પરંપરા મુજબ સોનાના વરખની વજન કરાવવામાં આવ્યું હતું. જો કે પ્રતિવર્ષ કરતાં ઓછા વજનનું સોનાનું વરખ હોવાથી ભૂપેન્દ્રભાઈ ને શંકા ગઈ હતી. અને તેમણે મંદિરના સીસીટીવી ચાલુ કરી દીધા હતા. જે બાદ તપાસ કરતા ઉક્ત ટ્રસ્ટીઓની સંડોવણી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા બન્નેના ઘરની ઝડતી લઈને સોનાનો દોરો રિકવર કરી લેવામાં આવ્યો હતો.
આજે બંનેની પૂછતાંછ કરતાં અંદાજીત 45 લાખની સોનાનું વરખ ચોરીને માણેકચોકના એક સોનીને વેચી દીધાની કબૂલાત કરી હતી. જેનાં પગલે એલસીબીએ માણેકચોકમાં જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ આખી ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપવા માં આવ્યો તે જાણવા એલસીબીએ બંને ટ્રસ્ટીને મંદિરમાં લઈ જઈ રી કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે. તો માણેકચોકનાં વેપારીએ ચોરીનું 700 થી 800 ગ્રામ સોનાના વરખ કેટલા રૂપિયામાં ખરીદ્યું તેમજ તે વરખ નું શું કર્યું એ જાણવા માટે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.