- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Visiting Waste To Energy And Legacy Waste Plant In Nakaravadi, Mr. Commissioner, 600 Tonnes Of Solid Waste Will Be Disposed Of Daily To Generate 14.9 MW Of Electricity.
રાજકોટ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

મ્યુનિ. કમિશનરે પ્લાન્ટની મુલાકાત કરી.
રાજકોટ શહેરમાંથી એકત્ર થયેલા જૂના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ આ જ સ્થળે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ બંને કામગીરીને વધુ વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે મુલાકાત લીધી હતી અને લીગસી વેસ્ટનો નિકાલ ઝડપથી કરવા સૂચના આપી હતી. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂ થતા દૈનિક ધોરણે 600 TPD(ટન પ્રતિ દિવસ) ઘન કચરાનો નિકાલ થશે. જેમાંથી 14.9 મેગા વોટ વીજળીનું ઉત્પાદન થશે. હાલ પ્લાન્ટનું 60% જેટલું કામ પૂર્ણ થયું છે.
પ્રથમ સેલમાં 55,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો
આ સાથે જ નાકરાવાડીમાં લીગસી વેસ્ટનાં નિકાલ માટે હાલ 8 ટ્રોમેલ (કચરાનું વર્ગીકરણ કરતું મશીન) કાર્યરત છે અને 2 ટ્રોમેલ કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં જૂના કચરામાંથી RDF, સેમી કમ્પોસ્ટ, ધૂળ, પથ્થર, મેટલ વગેરે અલગ કરવામાં આવે છે. લેન્ડ ફીલ સાઈટ ખાતે પ્રથમ સેલમાં 55,000 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. દ્વિતીય સેલમાં 4 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે.
વોંકળાની સફાઇ કરી 40 ટન કચરો કઢાયો
રાજકોટ મ્યુનિ. કમિશનર આનંદ પટેલનાં આદેશથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિન પાંભર તેમજ પશ્ચિમ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ. તુવરનાં માર્ગદર્શન હેઠળ પશ્ચિમ ઝોનનાં વોર્ડ નં. 9માં રૈયાગામ ખાતેના વોંકળાની સફાઇ કરવામાં આવી હતી. જેમાં જેસીબી, ડમ્પર દ્વારા અંદાજિત 40 ટન કચરો કાઢવામાં આવ્યો હતો. ચોમાસા પહેલા શહેરના તમામ વોંકળા અને નાળાની આ પ્રકારે સફાઈ કરવામાં આવનાર હોવાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
વેરા વસુલાત વિભાગે 33 મિલકતો સીલ કરી
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા ચાલતી રિકવરી ઝુંબેશમાં આજે પણ વિવિધ વિસ્તારોમાં મિલકત સીલ કરવામાં આવી હતી. વેરા વસૂલાત શાખા દ્વારા લાંબા સમયથી બાકી વેરાની રકમ ભરપાઈ નહીં કરનાર 33 આસામીઓની સામે મિલકતોને સીલ કરવામાં આવી હતી અને 10 મિલકતોને જપ્તીની નોટિસ આપી કુલ રૂ 1.86 કરોડનો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરનાં તમામ વોર્ડનાં વિવિધ વિસ્તારોમાં વેરા વસુલાત વિભાગની ટીમો ત્રાટકી હતી. આ ટીમોએ બાકી વેરો નહીં ભરતા આસમીઓ પર તવાઈ બોલાવતા કરચોરી કરનારા લોકોમાં ફફડાટનો માહોલ છવાયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.