- Gujarati News
- Local
- Gujarat
- Anand
- A Crime Has Been Registered Against A Gang Of Thugs Who Bought Tobacco With A Farmer And Extorted 8.15 Lakhs In Khambholj.
આણંદ2 કલાક પહેલા
- કૉપી લિંક

ખંભોળજ પંથકમાં તમાકુનું વાવેતર કરનારા ખેડૂતો સાથે ત્રણ ગઠિયાએ લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ગઠિયાઓએ તમાકુ ખરીદી કર્યા બાદ અડધા નાણા એડવાન્સ પેટે ચુકવ્યાં હતાં. જોકે, બાદમાં એક પણ રૂપિયો ચુકવ્યો નહતો. આ ઉપરાંત આપેલા ચેક પણ બાઉન્સ થયાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે એક ખેડૂતની ફરિયાદ આધારે રૂ.8.15 લાખની છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.
ખંભોળજના ચોરા પાસે રહેતા જયંતિભાઈ અંબાલાલ પટેલ નામના ખેડૂત સામાન્ય રીતે તમાકુની ખેતી કરે છે. તેઓ 2019ની સાલમાં બોચાસણ ગામે તેમના સાસરિમાં ગયાં હતાં તે સમયે મયુર ભાસ્કરભાઈ પટેલ નામના શખસ સાથે ઓળખાણ થઇ હતી. તે સમયે મયુરે જણાવ્યું હતું કે, હું તથા મારો મિત્ર ચિરાગ મનહરભાઈ પટેલ (રહે.સંતોકપુરા) બન્ને ભાગીદારીમાં તમાકુ લે-વેચનો ધંધો કરીએ છીએ. અમે બન્ને તમાકુના મોટા ગજાના વેપારીઓ છીએ. તમારે તથા તમારા ઓળખીતા ખેડૂતોને તમાકુ વેચવાની હોય તો અમે તેને સારો ભાવ આપીશું. તેમજ રોકડા રૂપિયા આપીને વહેવાર કરીશું. તેવી વાત કરતાં જયંતિભાઈ સાથે ઓળખાણ કરી હતી. આ વાતચીતમાં ચિરાગે પણ જણાવ્યું હતું કે, અમે આજુબાજુના ખેડૂતો સાથે વિશ્વાસથી વેપાર કરીએ છીએ. બધા ખેડૂતોને તરત જ પૈસા ચુકવી દઇએ છીએ. મારા પિતા અમેરિકન સીટીઝન હોવાથી ધંધામાં જરૂર પડે ત્યારે તેઓ પૈસા મોકલી મદદ કરતાં રહે છે. આ ઉપરાંત મારી પાસે બે કરોડની ફિક્સ ડિપોઝીટ પણ છે. એટલે કોઇ ખેડૂતના નાણાં અમારા તરફથી ડૂબે તેમ નથી. તેવી લોભામણી વાતો આ બન્ને વ્યક્તિએ કરી હતી. મયુર અને ચિરાગની વાતચીતમાં તેમણે વિશ્વાસ સંપાદન કરી લીધો હતો.
આ દરમિયાનમાં 2019-2020ની સાલમાં ચિરાગ મનહર પટેલ (રહે.સંતોકપુરા), મયુર ભાસ્કર પટેલ (રહે.બોચાસણ) તથા ચિરાગનો તમાકુનો બધો વહીવટ કરતા તેમજ તમાકુની ગાડીઓ ભરાવી લઇ જતા તેના માણસ લાલજી બુધા ઠાકોર (રહે.સંતોકપુરા) ખંભોળજ જયંતિભાઈ પટેલના ઘરે આવ્યાં હતાં.તેઓએ તમાકુ કરેલી હોવાથી તેમની સાથે વેપાર કર્યો હતો અને મણના રૂ.1651નો ભાવ આપ્યો હતો.આ સમયે તેઓએ બધી તમાકુ ખરીદી લીધી હતી અને તેના રૂ.14 લાખ તરત જ ચુકવી દીધાં હતાં.જેથી જયંતિભાઈને વિશ્વાસ બેસી ગયો હતો.આ ઘટનાના બીજા વરસે એટલે કે 2020-2021ના વર્ષમાં રૂ.2151 મણના ભાવે રૂ.20,51,065માં તમાકુ તેઓને વેચાણ આપી હતી.જેના રૂ.9.62 લાખ તેમણે ચુકવી દીધાં હતાં અને રૂ.10,83,065 બાકી રાખ્યાં હતાં.આ ઉપરાંત 2021-22ના વર્ષમાં પણ રૂ.2551મણના ભાવે રૂ.13,78,364ની તમાકુ વેચી હતી.જેના બધા રૂપિયા લેવાના બાકી નિકળતાં હતાં. આમ કુલ રૂ.24,61,429
મહત્વનું છે કે આ બન્ને વેપારીઓ પાસેથી લેવાના બાકી નિકળતાં તેઓએ ટુકડે ટુકડે રોકડથી પૈસા આપ્યાં હતાં. જ્યારે બાકીના સાત ચેક લખી આપ્યાં હતાં. જોકે, આ ચેક લાલજી બુધા ઠાકોરના નામના હતાં. આ અંગે જે તે સમયે ચિરાગે તેમ જણાવ્યું હતું કે, મારા પૈસા લાલજીના ખાતામાં પડેલા છે. જેથી તેમના ચેકથી ઉપાડી લેજો. તેમ કહી લાલજીનો ચેક આપ્યો હતો. જયંતિભાઈને કુલ રૂ.8,15,975 લેવાના નિકળતાં હતાં. જેથી તેમણે ચેક બેન્કમાં નાંખ્યાં હતાં. જે બાઉન્સ થયાં હતાં. આમ, ત્રણેય શખસે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી. આથી, જયંતિભાઈએ તપાસ કરતાં આ ત્રણેય ઠગ ટોળકીએ માત્ર તેમને જ નહીં પરંતુ ગામના અન્ય પંદર જેટલા ખેડૂતોની તમાકુ ખરીદી હતી અને તેઓના પણ રૂપિયા બાકી રાખેલા છે. તેઓ કોઇને પણ પૈસા ચુકવતા નથી. આ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ચિરાગ મનહર પટેલ, મયુર ભાસ્કર પટેલ અને લાલજી બુધા ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.