બિહારની મહિલાનું નવ મહિના બાદ પરિવાર સાથે સુખદ મિલન; નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ યોજાયો | Bihar woman happy reunion with family after nine months; A financial literacy program was held | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા

  • કૉપી લિંક

સખી વન સ્ટોપ સેન્ટરે મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું…
આઠ માસ પહેલા 50 વર્ષિય મહિલા લીલાબેન (નામ બદલેલ છે) પોતાના પરિવારમાં કોઇને પણ જાણ કર્યા વિના ઘરેથી નિકળી ગઈ હતી. મહિલા હેલ્પલાઇન દ્વારા આ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર સાબરકાંઠા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. મહિલાને લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરમાં મોકલી આપવામાં આવી હતી. મહિલા સાથે કાઉન્સેલિંગ કરતા મહિલા માનસિક બિમાર હોઇ ભુલા પડેલા છે તેમ જાણવા મળ્યું હતું. વધુ વાતચીત કરતા તે બિહાર રાજ્યના ભાગપુર જિલ્લાના ગોકુલપુરની હોવાનું જાણવા મળ્યું હતું.

હિંમતનગરના નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર દ્વારા અજાણી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમના પુત્ર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. આ મહિલાના તમામ ઓળખપત્રોની વિગત મેળવી મહિલા બિહાર રાજ્યના ભાગપુર જિલ્લાના ગોકુલપુરની હોવાની ખાત્રી કરવામાં આવી હતી. મહિલાને ગુજરાતથી પોતાના વતનમાં લઈ જવા માટે પરિવારને જાણ કરવામાં આવી હતી. પરંતુ પરિવારજનો મહિલાને ગુજરાત લેવા આવી શકે તેમ સક્ષમ ન હતા. આથી જિલ્લા કલેક્ટરની મંજુરી લઇ સાબરકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પોલિસ બંદોબસ્ત સાથે મહિલાને પોતાના વતન બિહારમાં તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. તે સમયે નારી સંરક્ષણ કેન્દ્રનો સ્ટાફ તેમજ સાબરકાંઠા પોલિસ સ્ટાફ આ મિલનનો સાક્ષી બન્યો હતો. મહિલાનું પરિવાર સાથે મિલન થતા પરિવારજનો આનંદની લાગણી સાથે ભાવ વિભોર થયા હતા.

નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ યોજાયો…
સાબરકાંઠા જિલ્લામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા લીડ બેન્ક સેલ હિંમતનગરના ઉપક્રમે ખેડબ્રહ્મા નગરપાલિકા ટાઉન હોલ ખાતે નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કર્યક્રમમાં ખેડબ્રહ્માના વિવિધ ગામોમાંથી પધારેલા લોકોને બચત વિશે, નાણાંકીય ફ્રોડ, સખીમંડળ લોન, નાબાર્ડની યોજનાઓ અને બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં ચાલતી વિવિધ તાલીમ કોર્ષ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી મુકેશ પટેલ, આર.બી.આઇના એ.જી.એમ શશીકુમાર ચૌધરી, આર.બી.આઈના મેનેજર અનુરાગ મીના, એફ.એલ.સી રાજેન્દ્ર સુથાર નાબાર્ડ, ડી.ડી.એમ મનોજકુમાર, લીડ બેન્ક મેનેજર રાજેન્દ્રકુમાર સંડેરા, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના નિયામક તુષાર પ્રજાપતિ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post