સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક

ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના જોટાસણ ગામે શુક્રવારે બપોરના સમયે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકીને ભાગી ગયો હતો. અકસ્માત અંગે ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે, પોશીના તાલુકાના ટાઢી વેડી ગામના જોવનાભાઈ ગમારના 20 વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ગમાર પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો. દરમિયાન જોટાસણ ગામ નજીક ટ્રેક્ટર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોવિંદભાઈનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. બીજી તરફ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મુકી નાસી ગયો હતો. અકસ્માત અંગે ખેડૂતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સેવા સહકારી મંડળીના સેક્રેટરી વિરૂદ્ધ હંગામી ઉચાપતની ફરિયાદ
ઈડર તાલુકાના લાલપુર ગામની આવેલી સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ સભાસદો દ્વારા મુકવામાં આવેલી થાપણોમાંથી રૂપિયા 39,49,557ની ઓડિટમાં ઉચાપત કરી હોવાનું બહાર આવતા સેક્રેટરી વિરૂદ્ધ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જોકે સેક્રેટરીએ ત્રણ માસમાં ઉચાપતની રકમની ભરપાઇ કરી હંગામી ઉચાપત કર્યા હોવાનુ બહાર આવ્યુ છે. ત્યારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઈડર તાલુકાના લાલપુર ગામે સેવા સહકારી મંડળીના સેક્રેટરી તરીકે છેલ્લા 8 વર્ષથી પટેલ શિવાભાઈ જવાબદારી સંભાળી રહ્યા છે. જે દરમિયાન સેવા સહકારી મંડળીમાં 88 સભાસદો દ્વારા રૂપિયા 1,03,37,113ની થાપણો મુકવામાં આવી હતી. સેવા સહકારી મંડળીનું તા. 1/4/2021થી તા. 31/3/2022 સુઘી મંડળીનું ઓડિટ કરવામાં આવતા થાપણો મંડળીના સેક્રેટરી દ્વારા જમા લેવામાં આવી હતી. જે પૈકી ઓડિટ દરમ્યાન રૂપિયા 63,87,556 જમા થયેલ હોવાનું રજીસ્ટરમાં બતાવવામાં આવ્યું હતું. જોકે બાકીના રૂપિયા 39,49,557 ઉચાપત કર્યા હોવાનું ઓડિટ દરમિયાન બહાર આવ્યું હતું. સેક્રેટરી દ્વારા તા. 30/9/2022થી 31/3/2023 સુધીમાં ભરપાઈ પણ કરી દીધી હતી, પરંતુ ઓડિટ દરમિયાન હંગામી ઉચાપત કરવામાં આવતા પટેલ ભરતભાઈ દ્વારા મંડળીના સેક્રેટરી શિવાભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં શખ્સને આજીવન કેદ
આ અંગેની વિગત એવી છે કે, ગત તા. 25/7/2017ના રોજ ઇડર તાલુકાના રણોદરા ગામના રમેશભાઇ ઉર્ફે ભુવાજી હળુજી વડેરા (ઉ.વ.૪૨) વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સગીર દીકરીની માતાએ જણાવ્યું હતું કે, રમેશભાઇ ઉર્ફે ભુવાજી વડેરાએ ધર્મની બહેન બનાવી હતી અને તેથી સગીર દીકરીને મામાના ઘરે રોકાવા માટે મોકલી હતી. તે દરમિયાન તેની પત્નીની ગેરહાજરીમાં આ હવસખોર રમેશ ઉર્ફે ભુવાજી હળુજી વડેરાએ સગીર દિકરી ઉપર નજર બગાડી શારીરિક અડપલાં કરી દુષ્કર્મ ગુર્જાયુ હતું. બે મહિનાથી રાત્રે તથા દિવસે રમેશ ઉર્ફે ભુવાજી સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ કરતો હતો. જોકે કંટાળીને સગીર દીકરી રમેશના ઘરેથી ભાગી તેની માતાના ઘરે રાજસ્થાન આવી ગઇ હતી અને સમગ્ર ઘટનાથી તેની માતાને જાણ કરતા મહિલા પોલીસની મદદથી પુછપરછ બાદ હવસખોર રમેશ ઉર્ફે ભુવાજી હળુજી વડેરા વિરુદ્ધ ઇડર પોલીસ મથકમાં પોક્સો એકટ તથા આઇપીસી કલમ 376, 506 (2) મુજબ ગુનો નોંધી હવસખોર રમેશની ધરપકડ કરવામાં આવી હતી.
જે અંગેના કેસની કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ મદદનીશ જિલ્લા સરકારી વકીલ પ્રણય જયંતિલાલ સોનીએ કોર્ટ સમક્ષ હાજર થઇ મૌખિક તથા લેખિત પુરાવા રજૂ કરી ધારદાર દલીલો કરતા એડી.સેશન્સ જજ એચ.એમ. રાજપુરોહિત દ્વારા ગુનામાં સંડોવાયેલા રમેશ ઉર્ફે ભુવાજી હળુજી વડેરાને તકસીરવાન ઠરાવી આજીવન સખ્ત કેદની સજા તથા રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ઇપીકો કલમ 506 (2)માં ગુનેગાર ઠેરવીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. સજાનો હુકમ ખુલ્લી અદાલતમાં સંભળાવીને જાહેર કરવામાં આવ્યો હતો.

ગ્રામીણ બેંકમાંથી લોન લઇ ચેક રિટન કરાવનાર શખ્સ સામે ફરિયાદ
આ અંગેની વિગત એવી છે , ધનસુરા તાલુકાના લાલપુર ગામના રહીશ મકવાણા રાજુસિંહ લક્ષ્મણસિંહએ તલોદ તાલુકાના નાના ચેખલા ગામમાં આવેલ બરોડા ગ્રામીણ બેંકમાંથી પાક ધિરાણની લોન કિંમત રૂપિયા 1.93 લાખ લીધી હતી અને બેંકના નિયમ મુજબ કબૂલાત પત્ર, વચનચીઠ્ઠી અને ગેરંટી બોન્ડ લોન લેનાર અરજદાર તથા જામીનદાર દ્વારા બેંકને આપવામાં આવ્યા હતા. પરંતુ બેંક દ્વારા આપવામા આવેલ લોન ભરપાઈ કરવામાં મકવાણા રાજુસિંહ નિષ્ફળ રહ્યા હતા. જે અંગેની ઉઘરાણી કરવામાં આવી હતી. બેંકના મેનેજર દ્વારા બાકી નિકળતી રકમ રૂપિયા 2.95 લાખની રકમની ઉઘરાણી કરતા રાજુસિંહ મકવાણાએ ગત તા. 20 નવેમ્બર 2020ના રોજ ચેક આપ્યો હતો. જોકે બેંકમાં બેલેન્સના અભાવે ચેક રિટન થયો હતો. જે અંગે બરોડા ગ્રામીણ બેંક નાના ચેખલા શાખા દ્વારા અધિકૃત પ્રતિનિધિ ભાવેશ પટેલે તલોદ કોર્ટેમાં ચેક રિટન અંગેની ફરિયાદ દાખલ કરી હતી. બેંકના વકીલ રાજુભાઈ પંડ્યાની ધારદાર દલીલોને ધ્યાને લઇ તલોદ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ વિનય વી શુકલા દ્વારા મકવાણા રાજુસિંહ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 મુજબ તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને લોનની રકમની બમણી રકમ રૂપિયા 5.90 લાખ રકમનો દંડ ફટકાર્યો હતો. તલોદ કોર્ટે ચેક રિટન કેસમાં સજા ફરમાવતા મુદ્દત વીતી બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

હિંમતનગરના મોચીવાસમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
હિંમતનગર તાલુકાના મોચીવાસમાં રહેતા એક યુવાને પોતાના ઘરમાં હુક સાથે સાડી વડે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જોકે મૃતક યુવાને પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ સુસાઇડ નોટ લખી પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ ગઇ હતી. પોલીસે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મૃતક રવિકુમાર મોચીની પત્ની ચાંદની છેલ્લા એક વર્ષથી તેના પિતાના ઘરે જતી રહી હતી અને લેવા જતા છતા પણ તે આવતી ન હતી. જે દરમિયાન અવારનવાર રવિની પત્ની ચાંદની તથા રમઝાનમીયા કાથીયા રવિને મોબાઇલ ફોનમાં જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપતા હતા. તેમજ ચાંદની રવિને તારે મરી જવુ હોય તો મરી જા તેવી ધમકીઓ આપી મરવા સુધીનુ દુષ્પ્રેરણ કર્યુ હતું. પોતાની પત્ની ચાંદની અને તેના પ્રેમી રમઝાનમીયા કાથીયા દ્વારા આપવામાં આવતો ત્રાસ સહન ન થતા ગત તારીખ 4 માર્ચના રોજ રવિ મોચીએ પોતાના ઘરે છતના હુક સાથે સાડી વડે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધુ હતું. જે અંગે મૃતક રવિની માતા કાન્તાબેન દ્વારા ચાંદની ચાવડા અને રમઝાનમીયા કાથીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
