- Gujarati News
- Local
- Gujarat
- Tantra Prepares Hard For J. Clerk Exam, Adani Cuts CNG And PNG Gas Prices, See Where Gujarat BJP Leaders Will Go As Star Campaigners In Karnataka
23 મિનિટ પહેલા
- કૉપી લિંક
કર્ણાટકમાં ગુજરાતની ફોજ ઉતારશે ભાજપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય કર્ણાટકને કવર કરવાનું છે. આ માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને પણ ગુજરાત મોડલના આધારે લડવામાં આવશે. જેમાં મોદી સ્ટાર પ્રચારક રહેશે પણ રાહુલને સજા અપાવનાર પૂર્ણેશ મોદી પ્રચારનો મુખ્ય ચહેરો રહેશે. ગુજરાત જેવું શાનદાર પરિણામ કર્ણાટકમાં પણ લાવવા માટે ભાજપે સી.આર પાટીલ, મનસુખ માંડવિયા સહિતના નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે. સાથે જ સુરતની કોર્ટમાં સજા બાદ ખૂબ ગાજેલા રાહુલ ગાંધી સામેના કેસના ફરિયાદી અને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પણ ચૂંટણી પ્રચારકોની યાદીમાં સમાવી લેવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્ણેશ મોદી, પ્રદીપસિંહ વાઘેલા સહિત ગુજરાત ભાજપના આ 6 નેતાઓ સહિત 125 કાર્યકર્તાઓની ટીમ કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરશે.

જુનિ.ક્લાર્કની પરીક્ષા માટે તંત્ર સજ્જ
જુનિયર ક્લાર્કની પરીક્ષા કાલે 9મી એપ્રિલથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે આજે તૈયારીઓને લઈને મહત્વની જાણકારી આપતી પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે તમામ કર્મચારીઓની ટ્રેનિંગ પુરી થઈ છે. તમામ જિલ્લામાં યોજાનારી પરીક્ષાના તમામ કેન્દ્રો પર 500થી વધુ સ્કવૉડ સતત નજર રાખશે. વધુમાં તેમણે કહ્યું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવીની વ્યવસ્થા છે. ઉમેદવારોને મુશ્કેલી ના પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોઈ રીતે ડમી વિદ્યાર્થી કેન્દ્રમાં પહોંચી શકશે નહીં. કેન્દ્રના પરીસરમાં પણ અને લોબીમાં પણ સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત કરાયા છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા પરીક્ષાર્થીઓના રહેવા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ એક સરાહનીય કાર્ય છે. તેમજ આ પરીક્ષામાં પેપરલીકને લઈને અમલી બનેલા નવા કાયદાના નીયમો લાગુ રહેશે. તેમણે કહ્યું કે પરીક્ષા માટે મોટાભાગની હોલ ટિકિટ્સ ડાઉનલોડ થઈ ચુકી છે. સમય પછી આવનાર પરીક્ષાર્થી વર્ગ ખંડમાં બેસી શકશે નહીં ઉપરાંત પેન, આઈડી અને કોલ લેટર સિવાય કશું જ અંદર નહીં લઈ જઈ શકાય, બુટ કે ચપ્પલ પણ નહીં. તે પણ વર્ગ ખંડની બહાર કાઢવાના રહેશે.

જુનિ.ક્લાર્કની પરીક્ષાને લઈ એસટી-રેલવે સજ્જ
પંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતીકાલે 9 એપ્રિલને રવિવારના રોજ યોજાનાર છે. 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો પરીક્ષા આપી પોતાનું ભાવી નક્કી કરવા જઈ રહ્યાં છે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 29-1-2023ના રોજ યોજાવાની હતી, પણ પેપરલીક થતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જે પરીક્ષા કાલે યોજાવા જઈ રહી છે. ત્યારે રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર બસ સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે. સુરત ST વિભાગ દ્વારા 8 અને 9 તારીખના રોજ 150 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. વડોદરાની વાત કરવામાં આવે તો હાલમાં પરીક્ષાર્થીઓના રૂટ પર 1 હજાર બસ દોડી રહી છે. પરંતુ જુનિયર ક્લાર્કની પરીક્ષાના દિવસે વધારાની 100 બસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સરકારે પ્રથમ વખત પરીક્ષાર્થી ઉમેદવારોને કેન્દ્રો સુધી પહોંચવા માટે 254 રૂપિયા મુસાફરી ભથ્થું આપશે. ઉમેદવારોએ બીજીવાર પરીક્ષા આપવા જવાની હોવાથી સરકારે આ એક પરીક્ષા પૂરતું ખાસ કિસ્સામાં મુસાફરી ખર્ચ આપવાનો નિર્ણય કર્યો છે.

અદાણીએ CNG અને PNG ગેસની કિંમતમાં ઘટાડો કર્યો
ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નેચરલ ગેસની કિંમત નક્કી કરવા માટે નવા ફોર્મ્યુલા હેઠળ 2014ની માર્ગદર્શિકામાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. તે બાદ હવે અદાણી ટોટલ ગેસ દ્વારા PNG અને CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા 13 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે PNGના ભાવમાં પાંચ રૂપિયા છ પૈસાનો ઘટાડો થયો છે. CNG-PNGનો નવો ભાવ આજથી અમલી બન્યો છે. નવા ગેસના ભાવને 20 ટકા પ્રીમિયમ પર રાખવાથી ONGC અને ઓઈલ ઈન્ડિયાને નવા રોકાણ માટે પ્રોત્સાહન મળશે. ઘરેલું ગેસના ભાવો નક્કી કરવાની પ્રક્રિયામાં ફેરફાર શનિવારથી કરવામાં આવશે. આ નિર્ણયના અમલીકરણ સાથે, દેશમાં PNGના ભાવમાં 10% અને CNGના ભાવમાં 6% થી 9% સુધીનો ઘટાડો થશે.

વિવાદિત કન્સલ્ટન્ટ કંપની 82 બ્રીજના ઇન્સ્પેક્શનમાં
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ રેલવે ઓવરબ્રિજ, રિવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફલાય ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન અને મેઇન્ટેનન્સ માટેની સૂચના આપવામાં આવી છે. અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં પણ હલકી ગુણવત્તાનું બાંધકામ સામે આવતાં બ્રિજ છેલ્લા 8 મહિનાથી બંધ છે. ઝૂલતા પુલ અને હાટકેશ્વર બ્રિજની ઘટના બાદ અમદાવાદના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટની પેનલ નક્કી કરવામાં આવી છે. રિંગ રોડ પર મુમતપુરા બ્રિજના સ્લેબ પડવાની દુર્ઘટના અને ઇન્કમટેક્સ બ્રિજના 5 લેનને લઈ વિવાદમાં આવેલા કન્સલ્ટન્ટની આ પેનલમાં નિમણૂક કરવામાં આવી હોવાને લઈ વિવાદ સામે આવ્યો છે. ઔડા દ્વારા શહેરના રિંગ રોડ ઉપર મુમતપુરા બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટનામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડને હટાવી દેવામાં આવી હતી. તેની જ આ પેનલમાં નિમણૂક કરવામાં આવશે, જેને લઇને વિવાદ સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ સ્લેબ તૂટવાની ઘટનામાં જે જવાબદાર કન્સલ્ટન્ટ એજન્સી હતી, એને દૂર કરી છે. એને જ હવે શહેરના તમામ બ્રિજોની તપાસ કરવા માટે પેનલમાં મૂકવામાં આવતાં સવાલ ઊભા થયા છે.

નરાધમને પકડી ટોળાંએ મેથીપાક આપ્યાના CCTV
સુરતના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 55 વર્ષના હવસખોર 7થી 8 વર્ષની બાળકીને ખંડેર જેવા ઘરમાં લઈ ગયો હતો, જ્યાં બાળકીને બળજબરીથી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં હતાં. બાળકી વીડિયો જોવાની ના કહે તો માર મારવાની ધમકી આપતો હતો. બીજી તરફ, બાળકી તેની ચુંગાલમાંથી નીકળીને ઘરે પહોંચી હતી અને સમગ્ર બનાવની જાણ પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને નરાધમને પકડીને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો.

રાજકોટમાં રહસ્યમય દુર્ઘટના
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મુકીને જતી રહી હતી અને તે લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રીના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઉઠી હતી, આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભુકી?, પાર્સલ મુકી જનાર મહિલા કોણ? અને તેનો ઇરાદો શું હતો? તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
