Saturday, April 8, 2023

કારમાંથી મળેલા મૃતક બુટલેગરે જ મહિલાની હત્યા કર્યા બાદ ખુદ આત્મહત્યા કરી; હજી કેટલાક રહસ્યો સામે આવશે | Dead bootlegger found in car commits suicide after murdering woman; Some more secrets will be revealed | Times Of Ahmedabad

પોરબંદર16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદરના નવી ખડપીઠ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા નામના વ્યક્તિએ કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કે, તેમની પત્ની કંચન બળેજા આંગણવાડીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ બે દિવસ વિતવા છતાં પરત ફરી નથી અને તેનો ફોન પણ બંધ આવે છે. અશ્વિને એવી શંકા વ્યક્ત કરી હતી કે, તેની પત્ની જ્યારથી ગુમ થઈ છે ત્યારથી તેના પાડોશમાં રહેતા ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નાનું ઘર પણ બંધ હાલતમાં હતું. એટલે તે પણ ગુમ હોય સાથે તેના પરિવારના તમામ લોકોના ફોન બંધ આવતા મુન્ના પર અશ્વિને શંકા વ્યક્ત કરી હતી. ત્રિકમ ચાવડા ઉર્ફે મુન્નો કે જે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર હોય અને આ મહિલાની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મુન્નો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા કારમાં લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

6 એપ્રિલના સાંજે મામલતદાર સહિતના પંચોની હાજરીમાં પાડોશી મુન્નાના ઘરનું તાળું તોડતા ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં ગુમ થયેલી મહિલા કંચન અશ્વિન બળેજાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો અને પીએમ રિપોર્ટ બાદ સામે આવ્યું હતુ કે, મહિલાને ગત 4 એપ્રિલના રોજ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોત નિપજાવેલું છે. કંચનને જે તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવેલી તે હથિયાર પણ પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવ્યું હોવાનું સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતું.

હત્યાને અંજામ આપનાર આરોપી મુન્નાએ 4 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યા આસપાસ કંચનને મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. હત્યા કર્યા બાદ આરોપી મુન્નો તેના બોટાદ ખાતેના ઘરે તેની પત્ની અને બાળકો પાસે જતો રહ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ 6 એપ્રિલના રોજ મુન્નાનો મૃતદેહ ચોટીલા ખાતે તેની કારમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ થયો હતો.

પોરબંદર પોલીસે તપાસમાં પુરાવા એકઠા કરતા આરોપી તરીકે મુન્નો પ્રસ્થાપીત થતા મરણ જનાર આરોપી મુન્ના વિરુદ્ધ એબેટેડ સમરી ભરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું. તો સાથે જ પોલીસે ઘટનાસ્થળ પરથી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા કબ્જે કરીને તપાસ હાથ ધરી છે અને તે ફુટેજમાં હત્યાને લગતા પુરાવા મળવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી.

મૃતક કંચન અને આરોપી મુન્નો બંને મૃત્યુ પામ્યા હોવાથી હત્યા કયા કારણોસર થઈ હતી, તે જાણી શકાયું નથી. સાથે જ મૃતક કંચનના પતિએ જણાવ્યું હતું કે, તેમની પત્નીને 2-3 માસનો ગર્ભ હતો, પરંતુ પીએમ રિપોર્ટમાં આ અંગે કોઈ વિગતો સામે આવી નથી. ત્યારે જોવું રહ્યું કે હત્યા પાછળનું સાચું કારણ શું અને મૃતક મહિલા જો ગર્ભવતી હતી તો પીએમ રિપોર્ટમાં કેમ આ અંગે કોઈ વિગતો સામે ન આવી?. ત્યારે આવતા દિવસોમાં આ મામલે તપાસ બાદ વધુ કેટલાક રાઝ પરથી પડદો ઉઠે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: