અરવલ્લી (મોડાસા)8 મિનિટ પહેલા
- કૉપી લિંક
અરવલ્લી જિલ્લા પ્રભારી અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા આયોજન મંડળ દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત રૂ. 9 કરોડ 65 લાખના કુલ 529 જનહિતના વિકાસકાર્યોને મંજૂર કરાયા છે. જિલ્લા આદિજાતી વિકાસ મંડળ દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત રૂ. 8 કરોડ 45 લાખના કુલ 286 જનહિતના વિકાસકાર્યોને મંજૂર કરાયા છે.

અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના પંચાયત અને કૃષિ બાબતોનું કાર્યાલય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક કલેક્ટર કચેરી મોડાસાના સભાખંડ ખાતે યોજાઈ હતી. જેમાં વર્ષ 2023-24 વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈઓ હેઠળ જિલ્લાના 6 તાલુકાઓ અને બે નગરપાલિકાઓ મળીને કુલ રૂ. 9 કરોડ 65 લાખના વિવિધ વિકાસકામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા આદિજાતી વિકાસ મંડળ દ્વારા વર્ષ 2023-24 અંતર્ગત રૂ. 8 કરોડ 45 લાખના કુલ 286 જનહિતના વિકાસકાર્યોને મંજૂર કરાયા હતા.

આ બેઠકમાં મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને જરૂરિયાત મુજબ વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને તેમણે ખાસ તાકીદ કરી હતી. વધુમાં વિવિધ ગ્રાન્ટ સંબંધિત કામો વહેલી તકે પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું.

બેઠકમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, ધરાસભ્ય પી.સી. બરંડા, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, જિલ્લા અધિક નિવાસી કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા પ્રયોજન અધિકારી, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.