29 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પાસે કેડીલા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા દોઢ બે વર્ષથી ચાલી રહી છે. બ્રિજ બનાવવાની ધીમી કામગીરીના કારણે ખૂબ જ ટ્રાફિક થાય છે. સર્વિસ રોડ ઉપર ટ્રાફિકના ડાયવર્ઝનના કારણે મોટી સંખ્યામાં વાહનો નીકળે છે. જેથી રોડ પર નજીકમાં આવેલી સોસાયટીઓને રોડ ઉપર બહાર વાહન લઇને નીકળવામાં તકલીફ પડે છે. જેને લઇ આજે ચારથી પાંચ સોસાયટીઓના 500થી વધુ લોકોએ ઘોડાસર ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોને પડતી અગવડતાઓને લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
લોકોનું રોડ ઉપર આવીને વિરોધ પ્રદર્શન
મળતી માહિતી મુજબ આજે શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા કેડીલા ઓવરબ્રિજની બાજુમાં મણિનગર તરફ જવાના રોડ ઉપર આવેલા સર્વિસ રોડની ચારથી પાંચ સોસાયટીના 500થી વધુ લોકોએ રોડ ઉપર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોસાયટીના સ્થાનિક રહેવાસી કમલભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ચારથી પાંચ સોસાયટીઓ જે સર્વિસ રોડ પાસે આવેલી છે ત્યાં કેડીલા ઓવરબ્રિજની કામગીરીના કારણે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે જેથી સોસાયટીની બહાર નીકળવામાં તકલીફ પડતી હોય છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં નિરાકરણ આવ્યું નથી. જેને લઇને આજે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સોસાયટીની બહાર નીકળવા માટે થઈને થોડી જગ્યા આપવામાં આવે જેથી લોકોને અવર-જવરમાં તકલીફ ન પડે.