નર્મદા (રાજપીપળા)35 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ લુહારની ફાઇલ તસવીર.
નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનાં જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહાર પર તેમના પૂર્વ પત્નીએ અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. તેમજ તેમની બદલી પણ કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.
વર્ષ 2009માં પ્રેમસંબંધ બાદ મંદિરમાં લગ્ન કર્યા
સાગબારા તાલુકમાં રહેતી મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2009માં તેના ચંદ્રકાંત ગોરખાભાઇ લુહાર સાથે મંદિરમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેઓ બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. પરંતુ ચંદ્રકાંત લુહારે તલાટી તરીકે નોકરી કરતી મહિલા સાથે લગ્ન કર્યા હોવા છતાં સમાજના રિવાજ મુજબ અન્ય એક મહિલા સાથે પણ લગ્ન કર્યા હતા. જો કે તલાટી તરીકે નોકરી કરતી મહિલાને લગ્નજીવનથી કોઇ સંતાનનો જન્મ થયો ન હતો.
મહિલા તલાટીએ બીજા સાથે લગ્ન કર્યા
મહિલાએ જણાવ્યું છે કે વર્ષ 2009માં ચંદ્રકાંત લુહાર સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ લગ્ન કર્યા હતા અને વર્ષ 2016 સુધી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ ન બેસતા છૂટાછેડા લઇ લીધા હતા. પરંતુ ત્યારબાદ પણ ચંદ્રકાંત લુહાર તેમના ઘરે આવીને માનસિક ત્રાસ આપતો હતો. દરમિયાન વર્ષ 2002માં મહિલા તલાટીને અન્ય એક પુરુષ સાથે પ્રેમસંબંધ બંધાતા તેની સાથે લગ્ન કરી લીધા હતા અને હવે બીજા પતિની સાથે રહે છે.
અપશબ્દો કહી ધમકી આપી
એપ્રિલ 2022માં ચંદ્રકાંત લુહારે પૂર્વ પત્ની અને મહિલા તલાટીને ફોન પર અપશબ્દો કહી ધમકી આપી હતી. તેમજ મહિલા અને તેના હાલના પતિને સાગબારા સરકારી ગેસ્ટ હાઉસ પાસે બોલાવી જાતિવિષયક અપશબ્દો બોલી તને બદનામ કરી નાખીશ કહી મારી નાખવાની ધમકી આપી હતી.
મહિલા તલાટીની બદલી કરાવ્યાનો આક્ષેપ
મહિલા તલાટીએ આક્ષેપ કર્યો છે કે ચંદ્રકાંત લુહાર સોલંબા ગામના ડેપ્યુટી સરપંચ હોવાથી રાજકીય વગનો ઉપયોગ કરીને તેમની અન્ય તાલુકામાં કરી નાખી છે. તેમજ તેને માનસિક રીતે પરેશાન કરવામાં આવી રહી છે. જે અંગે મહિલાએ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
પ્રદેશ કક્ષાએ ચર્ચા બાદ પગલાં લેવાશે
આ બાબતે દિવ્યભાસ્કર દ્વારા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ લુહારને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા કે કેમ એ બાબતે અમે પ્રદેશમાં ચર્ચા કરી પ્રદેશમાંથી જે આદેશ આવશે એ મુજબ આગળ પગલાં લઈશું.