વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક
- પુત્રી સામે પતિની નારાજગી હોવાનું જણાવ્યું
વલસાડમાં 31 વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમાં પિતાએ પોલીસ તપાસની માગ કરી છે.પિતાએ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી અકસ્માત મોતની એડીમાં પતિની પોતાની પુત્રી સામે નારાજગી હોવાનું જણાવ્યું હતું. જો કે પૂત્રીના આ પગલું ભરવામાં ચોક્કસ કારણ શોધવા તપાસ કરવા અકસ્માતની એડીમાં દાદ માગી હતી. પોલીસે આ કેસમાં નિવેદન લીધા બાદ હજી તેમાં કોઇ વધુ જાણકારી સામે આવી નથી.
વલસાડના ડુંગરીમાં રહેતા જતિનકુમાર નાથુભાઇ દેસાઇની પુત્રી અને શિક્ષિકા રિજ્ઞા દેસાઇના લગ્ન ઓક્ટોબર 2022માં પાલિહિલના જય દેસાઇ સાથે થયા હતા.દરમિયાન 13 એપ્રિલ 2023ના રોજ પતિ સુરત ખાતે કામકાજ માટે ગયો હતો ત્યારે બપોરે 1 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યાના ગાળા દરમિયાન શિક્ષિકાએ પાલિહિલના તેના બંગલાના ઉપરના માળે બેડરૂમમાં પંખા સાથે સૂતરની દોરી બાંધી ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જય દેસાઇ કામ પતાવી ઘરે પરત થયો હતો. પતિએ ફોન કરવા છતાં રિજ્ઞા ફોન ઉપાડતી ન હોવાનું જય દેસાઇએ જણાવ્યું હતું.
પતિ ઘરે દરવાજો બંધ હોય રિજ્ઞાને બુમો પાડી દરવાજો ખોલવા જણાવ્યું છતાં કોઇ પ્રતિસાદ મળ્યો ન હતો.પતિ જય દેસાઇએ રિજ્ઞાના પરિવારને આ સમગ્ર બાબતે જાણ કરતાં રિજ્ઞાના પિતા સહિત પરિવારના સભ્યો વલસાડ આવી પહોંચ્યા હતા.
અન્ય રસ્તે બંગલામાં પ્રવેશ કરી બેડરૂમમાં જોતા રિજ્ઞાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.આ કેસમાં સસરા જતિનકુમારે પોલીસ એફઆઇઆરમાં જણાવ્યા મુજબ તેમની દીકરી જ્યારે પરિવારના સભ્યો કે તેના મિત્રો સાથે ફોન પર વાત કરતી ત્યારે જમાઇ અને તેના માતા પિતા મારી દીકરીને ફોન કરવા ના પાડતા હતા તેમજ તેઓની હાજરીમાં જ ફોન કરવા જણાવતા હોવાનું પુત્રી રિજ્ઞા જ્યારે ઘરે આવતી ત્યારે કહેતી હતી.
પતિએ સસરા જતિનભાઇને જણાવ્યું હતું કે,તમારી દીકરી તેની જાણ બહાર બધાને ફોન કરે છે જે મને પસંદ નથી તેમજ તે બધાને અમારા માટે ફરિયાદ કરે છે જે બરાબર નથી તેવી હકીકત સસરા જતિનભાઇને જમાઇએ જણાવી હોવાની બાબતો જતિનકુમાર દેસાઇએ અકસ્માતની એડીમાં નોંધાવી હતી.આ કેસમાં પિતા જતિનકુમારે તેમની દીકરીના મોતનું ચોક્કસ કારણની તપાસ કરવા એડીમાં દાદ માગી હતી.