મુંબઈ29 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દર્શનના હોસ્ટેલના સાથીની મુશ્કેલી વધી
આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થી દર્શન સોલંકી મૃત્યુ કેસમાં મળેલી સુસાઈડ નોટમાં હસ્તાક્ષર દર્શનના જ હોવાની વાતને હસ્તાક્ષર નિષ્ણાતોએ સમર્થન આપ્યું છે. આ અંગેનો અહેવાલ પ્રકરણની તપાસ કરતી મુંબઈ પોલીસની એસઆઈટીને સોંપવામાં આવ્યો છે.
મડતકના હસ્તલેખનના નમૂનાઓ સાથે સંસ્થાની હોસ્ટેલમાંથી મળી આવેલી સુસાઈડ નોટના હસ્તલેખનને મેચ કરવામાં આવતાં સુસાઈડ નોટ દર્શને જ લખી હોવાનું સ્થાપિત થયું છે, એમ પોલીસ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.દર્શન ગુજરાતના અમદાવાદ રહેવાસી હતો અને બી. ટેક (કેમિકલ) કોર્સનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. 12 ફેબ્રુઆરીના રોજ પવઈમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (આઈઆઈટીબી)ના કેમ્પસમાં સ્થિત હોસ્ટેલની ઈમારતના સાતમા માળ પરથી દર્શને મોતની છલાંગ લગાવી હતી.
જાતિભેદને લઈ દર્શને આત્મહત્યા કરી હોવાની વાત ફેલાતાં વિદ્યાર્થી સંગઠનોએ તપાસની માગણી કરી હતી. આ પછી મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની સ્થાપના કરવામાં આવી હતી.
દર્શનના પરિવારજનોએ આરોપ કર્યો છે કે આ મૃત્યુ પાછળ કોઈક રમત રમાઈ છે. દર્શન પછાત જાતિનો હોવાથી તેની સાથે જાતિભેદ થતો હતો. જોકે આઈઆઈટીબી દ્વારા આ અંગે તપાસ કરવા નીમવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ જાતિભેદના આરોપ સાફ નકારી કાઢ્યા હતા અને દર્શનની કથળતી શૈક્ષણિક કામગીરીથી હતાશ થઈને તેણે આત્મહત્યા કરી હોઈ શકે એવું તારણ કાઢ્યું હતું.
અમે નિષ્ણાત દ્વારા હાથ ધરાયેલા હસ્તલેખનના વિશ્લેષણનો અહેવાલ પ્રાપ્ત થયો છે, જે પરથી હોસ્ટેલના રૂમમાંથી મળી આવેલી સુસાઈડ નોટ અને દર્શનના હસ્તાક્ષર મેચ થતા હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું.