આણંદ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બોલેરો ચાલક ભાગવા જતા વાહન પલટી ગયું, એક પશુનું મોત નિપજ્યું
ખંભાતના શ્રીરામ સેના સંગઠન દ્વારા પશુઓને કતલખાને લઇ જતી પીકઅપ ગાડીનો પીછો કર્યો હતો. પરંતુ તે દહેડા ગામ પાસે પલટી ગઈ હતી. આ અંગે તપાસ કરતાં ગાડીમાં પાંચ પશુ મળી આવ્યાં હતાં. આ અંગે પશુને કતલખાને લઇ જતાં બે શખસને પકડી પોલીસને હવાલે કર્યાં હતાં.
ખંભાત શહેરના શક્તિ પાર્ક સોસાયટીમાં રહેતા જયવીર જયરાજભાઈ જોષી શ્રી રામ સેવા સંગઠનમાં પ્રમુખ તરીકે કામ કરે છે. તેઓ ગેરકાયદે થતા પશુઓના કતલ રોકવાનું કામ કરે છે. જયવીરને 5મી એપ્રિલ,23ના રોજ માહિતી મળી હતી કે, એક સફેદ કલરની અને પાછળથી ભુરા કલરના કેરિયરવાળી મહિન્દ્રા કંપનીની ગાડી નં.જીજે 23 વાય 4843ની વરસડા ગાય ભરવા ગયા છે, તેઓ થોડીવારમાં પરત ખંભાત આવશે. જે ગાય કતલખાને લઇ જવાના છે. આથી, જયવીરભાઈએ તુરંત લુણેજ ગામના સરપંચ જોરૂભા ભરવાડ તથા નરેશ ભરવાડ, અભી ભરવાડ સહિત સૌ ગાડી લઇને જીણજ ગામના પાટીયા પાસે ઉભા હતા.
આ દરમ્યાન સવારના સાતેક વાગ્યાના અરસામાં ગાડી કનેવાલ તળાવવાળા રોડ તરફથી જીણજ પાટીયા પાસે આવતા તેને રોકવા જણાવ્યું હતું. જોકે, બોલેરો ગાડીના ચાલકે ગાડી વધુ ઝડપે ભગાવી હતી. જેથી તેનો પીછો કરતાં પકડદાવના દ્રશ્યો સર્જાયાં હતાં. થોડા કિલોમીટર દુર દહેડા ગામ તરફ ગાડી વાળવા ત્રણ રસ્તા પાસે ગાડીનો કંટ્રોલ ગુમાવ્યો હતો અને બોલેરો ગાડી પલ્ટી ગઈ હતી. આથી સંગઠનના માણસો તુરંત ગાડી પાસે પહોંચ્યાં હતાં અને તેમાં સવાર બે શખસને પકડીને બહાર કાઢ્યાં હતાં. ગાડી સીધી કરતાં તેમાં ત્રણ પાડા અને બે પાડી મળી આવ્યો હતો. જોકે, ગાડી પલ્ટી જવાના કારણે એક પશુનું મોત નિપજ્યું હતું. આ પશુઓને હરીફરી ન શકે તેવા દોરડાથી બાંધેલા હતાં. તેઓને ખાવા માટે ચારાની કોઇ વ્યવસ્થા પણ કરી નહતી.
આ ઘટનામાં પકડાયેલા બન્ને શખસની પુછપરછ કરતાં તે સલીમ હુસેન શેખ (રહે.ખંભાત) અને મોહસીન યુસુફ શેખ (રહે.ખંભાત) હોવાનું જણાવ્યું હતું. આ પશુઓ તેને પુના નામના શખસ પાસેથી ખરીદ્યાં હતાં અને પોતાના ઘરે કતલ કરવા લઇ જતાં હતાં. આ અંગે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સલીમ અને મોહસીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.